સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ‘વાયુ’ વાવાઝોડાના પગલે આજે રાજ્ય પોલીસવડા, એરફોર્સ, આર્મી, કોસ્ટલ સહિતના સંબંધિત વિભાગો સાથે રાજ્યના મહેસૂલ વિભાગના મુખ્ય સચિવે બેઠક યોજી હતી. પ્રભાવિત થનારા જિલ્લાઓના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી.
ભાવનગરના કોસ્ટલ એરિયાથી લઇ અમરેલી, સોમનાથ, જૂનાગઢ, જામનગર, રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા સહિતના વિસ્તારો વાવાઝોડાથી પ્રભાવિત થવાના છે, જેના પગલે આ તમામ એરિયાના વૃદ્ધો, વિક્લાંગો, બાળકો, સગર્ભા તેમજ અશક્ત લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાયુ વાવાઝોડાની ત્રાટકવાની શક્યતા સેવાઇ રહી છે. ત્યારે સરકાર દ્વારા તરડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવામાં આવી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ તંત્ર હરકતમાં આવી ગયું છે. વાવાઝોડાની નહિવત દક્ષિણ ગુજરાતના દરિયાકાઠાંના વિસ્તારોમાં થવાની શક્યતાએ વલસાડમાં તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે.
બીએસએફની બે કંપની કચ્છમાં તૈનાત કરવામાં આવી છે. આવતી કાલથી આર્મીની એક-એક ટીમ પણ દરેક પ્રભાવિત વિસ્તારમાં મોકલવામાં આવશે. અત્યારસુધીમાં એનડીઆરએફની 11 ટીમો તૈનાત કરવામાં આવી છે. વાયુસેનાની પણ જરૂર પડ્યે મદદ લેવામાં આવશે. બાકીની 10 ટીમોની માંગ કરવામાં આવી છે.
કુલ 35 જેટલી ટીમો આવતીકાલ સુધીમાં તૈનાત કરી દેવામાં આવશે. વાવઝોડાથી પ્રભાવિત થનારા કોસ્ટલ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે.
વાવાઝોડાના પગલે 12 અને 13 જૂનના રોજ સ્કૂલ, કોલેજ અને આંગણવાડીઓને બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. પશુઓને પણ નુકસાન ન થાય તે માટે જરૂરી જાણકારી અને સૂચનાઓ આપી દેવામાં આવી છે.
શું કરવું, શું ન કરવું તેની દરેક માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી છે. અત્યારસુધીમાં સાડા ચાર લાખ માછીમારો અને ખેડૂતોને જાણ કરવામાં આવી છે. એસએમએસ દ્વારા પણ નીયમિત રીતે મેસેજ કરી જાણ કરવામાં આવશે.
દરિયામાં ગયેલી તમામ બોટો પરત ફરી ચૂકી છે. વાવાઝોડાથી રસ્તાઓને નુકસાન અને ઝાડ પડવા જેવી ઘટનાઓ બને છે, ત્યારે ફોરેસ્ટ વિભાગ અને આરએનબી વિભાગની પણ અલગ-અલગ ટીમો બનાવી તાત્કાલિક ધોરણે વાવાઝોડા બાદ તેને પૂર્વવત કરવા માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. વાવાઝોડા દરમિયાન અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની ઘટના બને છે, જેને ઉલેચવા માટે રાજ્યોમાં જ્યાં પણ હેવી વોટરિંગ મશીન છે તેને આ તમામ વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે.
લોકોને તમામ પ્રકારની અફવાઓથી દૂર રહેવા જણાવાયું છે. લોકોએ ઘરમાં બેટરી સહિતના જરૂરી સાધનો રાખવા માટે જાણ કરી દેવામાં આવી છે. પ્રવાસીઓ અને અન્ય લોકોએ આ બે દિવસ દરમિયાન દરિયા કિનારે જવાનું ટાળવા જણાવાયું છે.
દરેક પોર્ટ પર કોસ્ટ ઓફ પોર્ટ એટલે કે બોટોને કિનારેથી દૂર લઇ જવા માટે જણાવી દેવામાં આવ્યું છે. રેલવે સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.