સગા ભાઈ ભત્રીજી હત્યાકેસમાં સંડોવાયેલી ડેન્ટિસ્ટ કિન્નરી નરેન્દ્રભાઈ પટેલના સાત દિવસના રિમાન્ડ પૂરા થતાં ગુરુવારે કોર્ટમાં રજૂ કરાયા બાદ એને સુજનીપુર ખાતેની સબજેલમાં જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી હતી. દરમિયાન પોલીસ તપાસ દરમિયાન બેબાક જણાયેલી કિન્નરી પટેલે કોર્ટમાં સી.આર.પી.સી.કલમ ૧૬૪ મુજબનું નિવેદન આપવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. જ્યારે ટ્રાયલ કેસ ચલાવવાની સત્તા સેશન્સ કોર્ટને હોવાથી તેની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી.
સગા ભાઈ જીગર અને ભત્રીજી માહીની હત્યા ધતુરાના બીજનું પાણી અને પોટેશિયમ સાઈનાઈડથી કરનાર કિન્નરી પટેલને સબજેલમાં મોકલી અપાયા બાદ પોલીસ દ્વારા કોલ ડીટેલ તેમજ સાઈનાઈડ, ધતુરા અને બગલામુખી માટે તેણે કરેલા google સર્ચ અંગે તપાસ આગળ વધારી છે.
તો બીજી તરફ સાઇનાઇડ અમદાવાદના વાણિજ્ય ભવન ખાતેથી લાવેલ હતી જે તરફ તપાસ શરૂ થશે. કિન્નરીએ તેના ભાઈ જીગરને પાટણથી કલ્યાણા જવા નીકળ્યા તે પહેલાં જ ધતુરાના બીજનું પાણી પીવડાવી દીધું હતું અને ત્યાં તેની ભાભી સાથે રકઝક થયા બાદ સાઇનાઈડની કેપ્સુલ આપી દીધી હતી તેવું તપાસ દરમિયાન ખુલવા પામ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ કિન્નરી પટેલ તેના અમદાવાદ ખાતેના નિવાસ્થાને ભાઈનું મોત નીપજાવવા માગતી ન હતી કેમકે પછી તેમાં રહેવું અનુકૂળ રહે નહીં. એટલે જ્યારે તે બહાર નીકળતા ત્યારે ધતુરાના બીજનો રસ ગ્લુકોઝમા આપી દેતી હતી. અગાઉ જીગર તેના કાકાના ઘરે પાટણ ખાતે આવેલ હતો ત્યારે તેની કાકીની દાંતની દવા સાથે જીગર માટે ધતુરાના બીજનું પાણી પણ દવા રૂપે મોકલી આપ્યું હતું અને તે દવા પીવડાવતા રહેવા પરિવારના સભ્યોને જણાવ્યું હતું.
તેણે સાઇનાઇડની ત્રણ કેપ્સુલ બનાવી હતી જેમાંથી બે નો ઉપયોગ કર્યો છે જ્યારે એક બાકી છે તે ડબ્બામાં અન્ય દવાઓ સાથે કબજે લેવાયેલ છે જેની એફએસએલ તપાસ કરાવ્યા પછી ઓળખ થઇ શકશે.
પોલીસના જણાવ્યા મુજબ કિન્નરીએ બગલામુખી મંત્ર સિદ્ધ કર્યો હતો. આ માટે વિસનગરના એક બુઝર્ગ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.તેના ભાઈના ભાગીદાર પાસેથી આ વૃદ્ધ જ્યોતિષકારનું સરનામું મળ્યું હતું જેમાં મનની શાંતિ ન મળતી હોય તો તેમનો સંપર્ક કરવા સાહજિક રીતે કહ્યું હતું અને જ્યોતિષકારે પણ સાહજિક રીતે ઉપાય બતાવ્યો હતો એવું અનુમાન હાલ કરી શકાય છે.
કિન્નરીએ જેની પાસેથી સાઇનાઇડ લાવ્યું હતું તે વાણિજ્ય ભવનમાં સરકારી લાઇસન્સ ધારક હોવાનું જાણવા મળ્યું છે જેમાં તેની તપાસ કરી ગેરકાયદેસર રીતે સાઈનાઈડ વેચવા અંગે ફરિયાદ કરવાનું થતું હશે તો તે કાર્યવાહી અલગથી કરાશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.