પ્રથમ દિવસે માં અન્નપૂર્ણા પાસે ભિક્ષા માગતા ભગવાન શંકરના મનોરથ નાં દશૅન કરી ભક્તો ધન્ય બન્યા..
ગુજરાતની ઐતિહાસિક નગરી પાટણમાં ધાર્મિક પર્વ , તહેવારો , ઉત્સવો અને વ્રતોની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગુરુવારના રોજ માગશર સુદ – છઠથી માગશર વદ અગીયારસ સુધી માં અન્નપૂર્ણાનાં ૨૧ દિવસીય મહોત્સવ અને વ્રતનો પ્રારંભ શ્રી પાટણ વિસા શ્રીમાળી સોની જ્ઞાતી દ્વારા વાઘેશ્વરી માતાના મંદિર પરીસર ખાતે ભક્તિ સભર માહોલમાં કરવામાં આવ્યો હતો.
૨૧ દિવસીય ચાલનારા આ અન્નપૂર્ણા મહોત્સવના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહોત્સવ સમિતિ નાં પ્રમુખ સહિત નાં સભ્યો એ અન્નપૂર્ણા મહોત્સવનુ મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે.પ્રાચીન ધર્મગ્રંથોમાં માં અન્નપૂર્ણાની અનેક કથાઓ વર્ણવવામાં આવી છે . કહેવાય છે કે નિર્વાણ માટે ધન અને ધાન્ય બંનેની જરુરીયાત રહેલી છે . ધનસંપત્તિના દેવ કુબેર ભંડારી છે તો વિશ્વને અન્નનો પુરવઠો પુરો પાડનાર અન્નની અધિષ્ઠાત્રી દેવી અન્નપૂર્ણા છે ત્યારે શહેરના સોનીવાડા વિસ્તારમાં આવેલ પ્રાચીન વાઘેશ્વરી માતાના મંદિર ખાતે આજથી અન્નપૂર્ણા મહોત્સવનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
આજના આ મહોત્સવ નાં મંગલ પ્રારંભ નાં પ્રથમ દિવસે માં અન્નપૂર્ણા ભગવાન શિવજીને અન્નની ભીક્ષાનું દાન આપતા હોય તેવા દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા તો પૌરાણીક કથાઓમાં વર્ણવ્યા મુજબ મહાદેવજીએ ભિક્ષુકનું સ્વરુપ ધારણ કરી ર્મા અન્નપૂર્ણા પાસે અન્નનું દાન માંગ્યુ હતું ત્યારે શિવજીને મૈયાએ ઉમળકાભેર ભીક્ષા આપી હતી ત્યારથી માં અન્નપૂર્ણાના વ્રતની ઉજવણી કરવામાં આવે છે. તો આ મહોત્સવમાં ફુલમંડળી , દીપ મનોરથ , ચુંદડી મનોરથ , ગજ સવારી , અશ્વ સવારી વગેરે મનોરથ દર્શનની ઝાંખીના દર્શન ક્રમશઃ ગોઠવવામાં આવશે.
મહોત્સવના પ્રથમ દિવસે વ્રતધારી મહિલાઓએ મૈયા સન્મુખ સ્વસ્તિકની પૂજા અર્ચના કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો. જ્યાં શ્રધ્ધાળુ મહિલાઓ અને સેવકગણોએ માં અન્નપૂર્ણાના દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા . સમાજની મહિલા મંડળની બહેનો દ્વારા અન્નપૂર્ણા મહોત્સવ નિમિત્તે મૈયાને શ્રીફળ ચુંદડી સહિતની ભેટસોગાદની પ્રસાદી ધરાવવા ઈચ્છતા હોય તેવા શ્રધ્ધાળુ ભકતો માટે પ્રસાદ સ્ટોલ કાર્યરત કરવામાં આવ્યો છે .