અમદાવાદ બગોદરા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટ્રક પાછળ તુફાન ગાડી ઘૂસી જતાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકોને ઈજાઓ થતાં સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે સવારે તુફાન ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરાતા ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ટ્રક પાછળ તુફાન ગાડી ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર બગોદરા તારાપુર હાઈવે પર ટ્રક પાછળ તુફાન ગાડી ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં ૩ વ્યક્તિઓના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. ઘાયલોને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે. અકસ્માતની જાણ થતાં બગોદરા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી.
ઠંડીના મોસમમાં વાતાવરણમાં ઘુમ્મસ છવાયેલુ રહે છે. તેમાં પણ મોડી સાંજથી લઈને વહેલી સવારે રસ્તા પર ધુમ્મસ હોય છે. જેની સીધી અસર વાહનચાલકો પર થતી હોય છે. આવામાં અકસ્માતોના અનેક બનાવો બનતા હોય છે. ત્યારે અમદાવાદ બગોદરા ધોળકા રોડ પરથી પસાર થઈ રહેલા તૂફાન ગાડીને ટ્રક દેખાઈ ન હતી. જેથી તૂફાન ગાડી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થીના મોત થયા છે.