ચૂકાદાની થોડી મિનિટો બાદ હાર્દિક પટેલે પોતાના ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે, કોઈપણ મુશ્કેલી તેના સ્તરેથી હલ ન કરી શકાય. તે મુશ્કેલીને તેના પરથી ઉપર ઉઠીને જ હલ કરી શકાય. હાર્દિકે પોતાના ટ્વિટના અંતે ઇંકલાબ જિંદાબાદ લખ્યું હતું.
વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ત્રણને દોષિત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય 14ને નિર્દોષ જાહેર કર્યા છે. આ ઉપરાંત 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
વિસનગર ચોથા એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ અગ્રવાલની કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને કલમ 148 હેઠળ દોષિત ઠેરવીને 2-2 વર્ષની સજા સંભળાવી છે.
ચૂકાદા બાદ હાર્દિક પટેલે ટ્વિટ પર હુંકાર કર્યો હતો જેમાં લખ્યું હતું કે, કોઈ પણ મુશ્કેલીઓ જે લેવલની બનાવાય તેનાથી પણ ઉપર પહોંચી કરીશું હલ. ઇંકલાબ જિંદાબાદ.
ત્યારે થોડીવારમાં જ બીજું ટ્વિટ કરીને હાર્દિકે હુંકાર કર્યો હતો કે, કોઈપણ મુશ્કેલીને તેના બનાવવામાં આવેલા લેવલ પર ઉકેલી શકાતી નથી, તે મુશ્કેલીને તે લેવલથી ઉપર ઉઠતાં જ ઉકેલી શકાય છે. આજે પણ હું કહું છું કે સરકાર અંગ્રેજ બનશે તો હું ભગત સિંહ બનીશ! ઇંકલાબ જિંદાબાદ.
જોકે હાર્દિક પટેલના ટ્વિટર એકાઉન્ટર પરની આ ટ્વિટ થોડી જ મિનિટોમાં ડીલેટ કરી દેવામાં આવી હતી.