રસી અંગે કોઈ કુશંકા રાખવાની જરૂર નથી, મેં કોરોના સામે રક્ષણ આપતી રસી લીધી છે જે સંપૂર્ણ સલામત છે
- ડૉ.યોગેશાનંદ ગોસ્વામી
ધારપુર જનરલ હોસ્પિટલના (Dharpur General Hospital) મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ.યોગેશાનંદ ગોસ્વામીએ જાતે રસીનો પ્રથમ ડોઝ (vaccine) લઈ તેની સલામતી અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો
પાટણની ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા રસીકરણ અભિયાનમાં હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અને ધારપુર મેડિકલ કોલેજના ડિન ડૉ. યોગેશાનંદ ગોસ્વામીએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. બે દિવસ અગાઉ રસી લીધા બાદ ડૉ.ગોસ્વામીએ આ અંગે પ્રતિક્રિયા આપી રસી સલામત હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો.
કોરોના વાયરસ સામે રક્ષણ આપતી કોવિશિલ્ડ વેક્સિનને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ દેશભરમાં શરૂ થયેલા રસીકરણ અભિયાન અંતર્ગત પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મીઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે.
જે અંતર્ગત પાટણ જિલ્લાની ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં મેડિકલ અને પૅરા મેડિકલ સ્ટાફને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. યોગેશાનંદ ગોસ્વામીએ ગત તા.૧૯ જાન્યુઆરીના રોજ જાતે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
રસીની સલામતી અંગે વિશ્વાસ વ્યક્ત કરતાં ડૉ. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, રસીની સલામતી અંગે જુદી જુદી અફવાઓ ચાલી રહી છે જે ખોટી છે. રસી પ્રત્યે કોઈ શંકા-કુશંકા રાખવાની જરૂર નથી. મેં જાતે રસી લીધી છે અને રસી લીધા બાદ મને તેની કોઈ આડઅસર થઈ નથી. હું સંપૂર્ણ સ્વસ્થ છું. રસીકરણ અભિયાનની શરૂઆત થાય ત્યારે જરાય ગભરાયા વગર રસી લેવા જાહેર જનતાને આહ્વાન કરી કોરોના સામે રક્ષણ મેળવવા પણ ડૉ.ગોસ્વામીએ અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે છેલ્લા બે દિવસમાં ૧૫૦ કરતાં વધુ મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફના સભ્યો ઉપરાંત ખાનગી પ્રેક્ટીશનર્સે રસીનો પ્રથમ ડૉઝ લીધો હતો.
The medical superintendent of Dharpur General Hospital personally took the first dose of the vaccine and expressed confidence in its safety.