ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની (Gujarat Local Body Elections) મતગણતરી (Counting) એક જ દિવસે કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે (Gujarat High Court) ફગાવી છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા આ અરજી કરવામાં આવી હતી. આમ હવે મનપા અને પંચાયતોની મતગણતરી અલગ અલગ થશે.
રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાશે અને તેની મત ગણતરી પણ બે અલગ અલગ દિવસે થશે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 6 મહાનગર પાલિકાઓના ચૂંટણીના પરિણામ માટે મતગણતરી 23મી ફેબ્રુઆરીના રોજ થશે, જ્યારે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરી 2 માર્ચ રોજ હાથ ધરવાના ચૂંટણી પંચના આ નિણર્યને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી એક જ દિવસે કરવાની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં રિટ ફાઇલ કરવામાં આવી હતી. અરજીમાં અરજદારની રજૂઆત હતી કે મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીનું મતદાન થશે તો ચૂંટણી પ્રક્રિયાની સ્વતંત્રતા પર વિપરિત અસર થશે.