હારીજ (Harij) નગરપાલિકાના વોર્ડ નં.૪ના ઝાપટપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી માર્ગ પર રેલાવાના પ્રશ્ન સહિત પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી આવતાં સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે.
આ બાબતે આજરોજ હારીજ નગરના વોર્ડ નં.૪ના રહીશો કલેકટર કચેરી ખાતે આવી પોતાને પડતી મુશ્કેલીઓ બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી હારીજ નગરની અંદર ભૂગર્ભ ગટરના પ્રશ્નનું નિરાકરણ લાવવા લેખિત રજૂઆત કરી હતી. ત્યારે આ અંગે કલેકટરે સાત દિવસની મુદત માંગી હારીજ નગરના તમામ પ્રશ્નોનો કાયમી નિરાકરણ લાવવા હૈયાધારણા આપી હતી.
હારીજ નગરના આવેદનપત્ર આપવા આવેલા લોકોએ જિલ્લા કલેકટર પાસે ઈચ્છામૃત્યુની માંગ પણ કરી હતી અને વધુમાં તેઓએ હારીજ નગરના ભૂગર્ભ અને પીવાના પાણીના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી હારીજ નગરના લોકોને જીવન આપો કયાં તો અમને ઈચ્છામૃત્યુ આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.