હવામાન વિભાગ
હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે તા.૧૭ ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની તથા ઉત્તર ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે.
જેને ધ્યાને લઇ જિલ્લાના ખેડૂતોને જરૂરી કાળજી રાખવા ખેતીવાડી વિભાગ દ્વારા આવશ્યક માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
ખેડૂતોએ હાલમાં તૈયાર થયેલો બીટી કપાસનો પાક વીણી તાત્કાલિક ધોરણે સલામત જગ્યાએ રાખવો. અડદ , મગ, બાજરી , મગફળી જેવા પાક કે ખેત પેદાશ અને ઘાસચારો તથા બિયારણ અને ખાતર સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો અથવા તાડપત્રીથી ઢાંકીને રાખવો.
શાકભાજી ઉપરાંતના બાગાયતી પાક શક્ય હોય તો તરત ઉતારી લેવા. ચણા, સવા અને રાયડો જેવા પાક નિષ્ફળ ન જાય તે માટે તેનું વાવેતર વરસાદ કે પવનની આગાહીને ધ્યાને રાખી કરવું. ઉભા પાકમાં હાલ તુરંત નાઇટ્રોજનયુક્ત ખાતર એટલે કે યુરિયા ખાતર આપવાનું શક્ય હોય તો ટાળવું.
પશુઓ માટેના ઢાળિયા કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા અને પવનમાં ઊડે નહીં તે સુનિશ્ચિત કરવું. ખેતરમાં કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છટણી અવશ્ય કરવી જેથી જોખમ ટાળી શકાય.
વરસાદ કે પવનની આગાહી ધ્યાને લેતા મોબાઇલ ફોન, ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા માટે કે સલામતી માટેની તમામ વ્યવસ્થા રાખવી. એ.પી.એમ.સી અથવા ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઈ જવાતી ખેત જણસીઓ ઢાંકીને લઈ જવી અને હવામાન ખાતાની આગાહી હોય તેવા સમયે ખેત જણસી વેચાણ શક્ય હોય તો ટાળવું.
વેપારીઓએ પણ એ.પી.એમ.સી. ખાતે રહેલી ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.