સ્પોન્સરશિપ એન્ડ ફોસ્ટર કેર એપૃવલ કમીટીની બેઠકમાં ગત તા.૨૭ જૂન સુધી મળેલી અરજીઓ મંજૂર કરી જૂન માસની સહાય ચૂકવવામાં આવી.
જિલ્લા સેવા સદન ખાતે મળેલી સ્પોન્સરશિપ એન્ડ ફોસ્ટર કેર એપૃવલ કમીટી દ્વારા કોરોના વાયરસ મહામારીમાં માતા-પિતા ગુમાવનાર જિલ્લાના ૨૨ નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કુલ રૂ.૮૮,૦૦૦ની સહાય ચૂકવવામાં આવી.
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.સી.કાસેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સ્પોન્સરશિપ એન્ડ ફોસ્ટર કેર એપૃવલ કમીટીમાં માર્ચ-૨૦૨૦ બાદ કોવિડ-૧૯ના કારણે માતા-પિતા ગુમાવનાર બાળકોની મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત તા.૨૭ જૂન સુધી મળેલી અરજીઓ અનુસંધાને પાત્રતા ચકાસણી કર્યા બાદ ૨૨ જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી. આ બાળકોને ૧૮ વર્ષની ઉમર સુધી પ્રતિમાસ રૂ.૪,૦૦૦/- સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જેમાં માત્ર બે દિવસના ટૂંકાગાળામાં જિલ્લાના ૨૨ નિરાધાર બાળકોને રૂ.૮૮,૦૦૦/-ની સહાય ચૂકવવામાં આવી.
આ બેઠકમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતન પ્રજાપતિ, ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝના અધિક્ષક તુષાર પ્રજાપતિ, સામાજીક કાર્યકર તુષાર પટેલ તથા દક્ષાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા.