પાટણ નગરપાલિકાની બેદરકારીને લઈ આજરોજ ખાન સરોવરના તળીયા દેખાતાં લોકો પાણી માટે વલખા મારી રહયા છે ત્યારે હાલ નવરાત્રી પર્વના પાવન દિવસો ચાલી રહયા છે ત્યારે લોકોને પૂજાવિધિ સહિત અનેક કાર્યો માટે પાણીની તાતી જરુરીયાત પડી રહી છે તેવા દિવસોમાં જ પાલિકા તંત્ર દ્વારા કેનાલોની સફાઈ કરવાના બહાના હેઠળ ખોરસમથી આવતું પાણી બંધ કરાવી દેતાં કેનાલો સહિત ખાન સરોવર કોરુ ધાકોર જોવા મળી રહયું છે
ત્યારે ખોરસમથી આવતું પાણી કેનાલો મારફતે ખાન સરોવરમાં ઠાલવવામાં આવે છે અને ત્યારબાદ પાઈપલાઈન મારફતે ફિલ્ટર પ્લાન્ટમાંથી પાટણ શહેરના તમામ સમ્પોમાંથી શહેરીજનોને પીવાનું પાણી પુરુ પાડવામાં આવતુ હોય છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં પાણીની બૂમરાડ ઉઠવા પામી હતી જેને લઈ આજે પીટીએન ન્યુઝ ચેનલ દ્વારા તેની સત્યતાની તપાસ કરતાં ખાન સરોવરની મુલાકાત લીધી હતી ત્યારે ખાન સરોવર પાણી વિનાનું કોરુ ધાકોર ભાસતું જોવા મળ્યું હતું
જેના કારણે પાટણ શહેરમાં પાણીની બુમરાડ ઉદભવી હોવાનું ધ્યાને આવ્યું હતું. આમ, ચીફ ઓફિસર દ્વારા નવીન શાસક પક્ષાના સભ્યોને વિશ્વાસમાં લઈ પોતાની મનમાની કરતાં નવરાત્રી જેવા પાવન તહેવારોમાં પણ આજે શહેરીજનોને પાણી વિના વલખા મારવાની ફરજ પડી હતી.
આ અંગે નગરપાલિકાના કોપોરેટર ડો.નરેશ દવેએ પુછતાં તેઓએ જણાવ્યું હતું કે પાલિકાના ચીફ ઓફિસર અને અધિકારીઓ નવીન ચૂંટાયેલા શાસક સભ્યોને ગેરમાર્ગે દોરી રહયા છે અને દશ દિવસ અગાઉ ખોરમસથી આવતા પીવાના પાણીને બંધ કરાવી કેનાલની સાફ સફાઈ હાથ ધરી હતી.
ત્યારે પાલિકા દ્વારા ખાન સરોવરને પૂરેપૂરુ ભર્યાં બાદ ખરેખર કેનાલની સફાઈ હાથ ધરવી જોઈતી હતી. જોકે તેઓએ પાણીથી અડધુ ભરેલું ખાન સરોવર હોવા છતાં કેનાલની સફાઈ હાથ ધરાતાં આજે શહેરીજનો તેનો ભોગ બની રહયા છે. ત્યારે ચીફ ઓફિસરને સપનુ આવે ત્યારે શાસક પક્ષને સમજાવીને પોતાનું કામ કરાવી શહેરીજનોને હાલાકી આપી રહયા છે જેથી ચીફ ઓફિસર જાગીને શહેરીજનોને ઉપયોગી કાર્યો કરે તેવું પણ આહવાન કયું હતું.
આમ ખરેખર તો શિયાળામાં શહેરીજનોને પાણીની ઓછી જરુરીયાત ઉભી થતી હોય છે ત્યારે કેનાલોની સફાઈ શિયાળાની ઋતુમાં હાથ ધરવામાં આવે તો આજે શહેરમાં જે પાણીની તંગી ઉદભવવા પામી છે તેનું નિરાકરણ લાવી શકાય અને શહેરીજનોને હાલાકી પણ ભોગવવાનો વારો ન આવે તેવું નકકર આયોજન શાસક પક્ષાના સભ્યોએ ચીફ ઓફિસર અને અધિકારીઓની વાતમાં આવ્યા વગર કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.