ભારત સરકારના સાંસ્કૃતિ બાબતો વિભાગના રાજય કક્ષાાના મંત્રી અર્જુનરામ મેઘવાલ આજે ઐતિહાસિક પ્રાચીન પાટણ શહેરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે પાટણ શહેરની તેમની આ પ્રથમ મુલાકાતને અનુલક્ષાીને માર્ગમાં ઠેરઠેર તેઓના સ્વાગત અને સન્માનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલ પાટણ શહેરમાં સૌથી ઉંચા સ્થળ એવા માયાટેકરી ખાતે આવી પહોંચતાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને કેન્દ્રીય મંત્રીના હસ્તે વીર મેઘમાયા સંકુલ ખાતે લાયબ્રેરી, મ્યુઝિયમ, લેન્ડસ્કેપ, સનસેટ પોઈન્ટ સહિતના વિવિધ પ્રોજેકટોનું કેન્દ્રીય મંત્રીના હસ્તે શાસ્ત્રોકત વિધિ વિધાન પ્રમાણે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
શિલાન્યાસ કર્યાં બાદ કેન્દ્રીય મંત્રી સહિત સાંસદ કિરીટભાઈ સોલંકીનો સન્માન સમારોહ પણ વિર મેઘમાયા સંકુલના પટાંગણ ખાતે યોજાયો હતો. ત્યારે ભારત રત્ન ડો.આંબેડકર અને વીર મેઘમાયાના ચરણોમાં દિપ પ્રાગટય કરી કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મુકાયો હતો. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીનું મોટા ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ કિરીટ સોલંકીએ વીર મેઘમાયાનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે સામાજીક ન્યાય અને પાણી માટે વીર મેઘમાયાએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. ત્યારે આ સ્મારક માત્ર નવ મહિનામાં નિર્માણકાર્ય પૂર્ણ કરવાની ખાતરી પણ આપી હતી. તો આ નવીન બનવા જઈ રહેલ સ્મારકમાં વીર મેઘમાયાની સાથે સાથે દલિત સમાજના તમામ સંતોની પ્રતિમા મૂકવામાં આવવાનું પણ તેઓએ જણાવ્યું હતું.
આ મંદિરના નિર્માણ થકી આવનાર પેઢીઓને અનેરી ઉર્જા અને પ્રરેણા મળી રહે તે માટે સ્મારક બનવા જઈ રહયું છે અને વધુમાં વીર મેઘમાયાનું બલિદાન ભારત પૂરતું ન રહી વિશ્વમાં ફેલાય તેવી પણ આશા આ પ્રસંગે વ્યકત કરી હતી. તો પ્રવાસન સ્થળનો વિકાસ કરવા પાટણ ખાતે એરપોર્ટની માંગ પણ ઉડયન મંત્રી સાથે કરી હોવાનું જણાવ્યું હતું.
તો ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે વીર મેઘમાયાના ભજનથી પોતાની વાતની શરુઆત કરી ભીંતો અને ગીતોમાં શહીદો અમર થતાં હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક મંત્રાલયની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા હતા અને તેઓએ પાટણની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરના વિકાસ માટે કોઈપણ પ્રકારની કસર નહીં રાખી આ વિસ્તારનો વિકાસ કરવા કટિબધ્ધતા દર્શાવી હતી.