Patan : પાટણ શહેરમાં આવેલી વિશ્વ વિરાસત રાણીની વાવનું (Rani Ki Vav) રૂ.100 ની ચલણી નોટ પર સ્થાન મળ્યા બાદ દેશ વિદેશથી સહેલાણીઓની સંખ્યામાં અવિરત વધારો થઈ રહયો છે ત્યારે પાટણ શહેરના રાણીની વાવ જવાના માર્ગને હેરીટેજ (World Heritage) માર્ગનું નામ આપી પાલિકા દ્વારા તેની સાર સંભાળ રાખવામાં આવતી હોય છે
આજ વર્લ્ડ હેરીટેજ માર્ગ (Rani Ki Vav Road) પર નગરદેવી કાલિકા માતાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. આ નગરદેવીના મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર અને વર્લ્ડ હેરીટેજ માર્ગ પર સામાન્ય વરસાદ થતાં જ તળાવનું નિર્માણ થતું હોય છે ત્યારે અહીં આવતાં અનેક શ્રધ્ધાળુઓને આ ભરાઈ રહેતાં વરસાદી પાણીના તળાવમાંથી જ પસાર થવાની ફરજ પડતાં પાલિકા તંત્ર પ્રત્યે રોષ પણ જોવા મળી રહયો છે.
નગરદેવીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ભરાતાં વરસાદી પાણીનો કોઈ જ નિકાલ ન હોવાથી અહીં વરસાદ પડયાને બે થી ત્રણ દિવસ બાદ પણ પાણી ભરાઈ રહેતાં જોવા મળતા હોય છે. એટલું જ નહીં આ હેરીટેજ માર્ગ પરથી અનેક દેશ-વિદેશના સહેલાણીઓ પણ આવતા હોવાથી પાટણની ખરાબ છાપ લઈને જઈ રહયા છે.
પાલિકા તંત્ર દ્વારા નગરદેવીના પ્રવેશદ્વાર પર ભરાતાં વરસાદી પાણીનો કાયમી નિકાલ લાવી શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી ન દુભાય અને દેશી વિદેશના સહેલાણીઓ પણ પાટણની સારી છાપ લઈને જાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવા સ્થાનિક રહીશોએ માંગ કરી હતી.