Rajsthan Accidnet News : રાજસ્થાનના જયપુર નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતમાં 12 ગુજરાતીઓના મોત નીપજ્યા હતા. આ ગોઝારા અકસ્માતમાં મૃત્યું પામનારા 12 લોકોના મૃતદેહને તેમના વતન દિહોરમાં લાવવામાં આવ્યા છે. આ પાર્થિવ દેહને જોતા આખું ગામ હિબકે ચઢ્યું છે. ગામના કરૂણ દ્રશ્યો જોતા કોઇની પણ આંખ ભીંજાઇ જશે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2023/09/dihor-accidnet-2.jpg?resize=640%2C347&ssl=1)
આપને જણાવીએ કે, રાજસ્થાનના જયપુર નેશનલ હાઇવે પર ભાવનગરથી મથુરા જતી ખાનગી બસને પાછળથી ટક્કર વાગી હતી. જેમાં 12 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં બચેલા મુસાફરોને બુધવારે દિહોર પાછા મોકલવામાં આવ્યા હતા.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2023/09/dihor-accidnet-1.jpg?resize=640%2C388&ssl=1)
મૃતકોને શ્રદ્ધજંલિ પાઠવવા હજારોની સંખ્યામાં લોકો દિહોર પહોંચ્યા છે. મૃતકોની અંતિમયાત્રામાં 10 હજારથી વધુ લોકો જોડાયા છે. મૃતકોના પરિવારમાં કરુણ આક્રંદ છવાઈ ગયો છે. તો આ અકસ્માતમાં મૃત્યુ પામેલ ભાવનગર શહેરની મહિલાનો મૃતદેહ પણ એમ્બ્યુલન્સ મારફતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યો છે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2023/09/dihor-accidnet.jpg?resize=640%2C383&ssl=1)
આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતમાં 12 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે 11થી વધુ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવતા 12 મૃતકો ભાવનગર જિલ્લાના હોવાનું સામે આવ્યું હતું. જેમાં 10 મૃતકો તો એકજ ગામના હોવાનું સામે આવ્યું હતું.
મૃત્યુ પામેલાની યાદી
- અંતુભાઈ લાલજીભાઈ ગયાણી 55 વર્ષ
- નંદરામભાઈ મથુરભાઈ ગયાણી 68 વર્ષ
- લલ્લુભાઈ દયાભાઈ ગયાણી
- ભરતભાઈ ભીખાભાઈ
- લાલજીભાઈ મનજીભાઈ
- અંબાબેન જીણાભાઈ
- કંબુબેન પોપટભાઈ
- રામુબેન ઉદાભાઈ
- મધુબેન અરવિંદભાઈ દાગી
- અંજુબેન થાપાભાઈ
- મધુબેન લાલજીભાઈ ચૂડાસમા
- કલુબેન ઘોયલ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અકસ્માતની ઘટનાને પગલે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ રાજસ્થાનમાં થયેલા માર્ગ અકસ્માતની કરુણ ઘટનામાં ગુજરાતના જે યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે પ્રત્યેકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય ગુજરાત સરકાર કરશે. દુ:ખની આ ઘડીમાં રાજ્ય સરકાર મૃતકો અને ઈજાગ્રસ્ત યાત્રિકોના સ્વજનોની પડખે છે.