- આજે સૂર્યપુત્રી તાપી માતાનો જન્મ દિવસ
- 17મી સદીમાં તાપી નદીમાં 1500 ટનની ક્ષમતાના વહાણ આવતા હતા
- તાપી નદી સુરત શહેરની જીવાદોરી
- “गंगा स्नान, नर्मदा दर्शन च ताप्ती स्मरण पापम नश्यति”
તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો અને આખા વિશ્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગેચંગે ઉજવે છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો આજે જન્મ દિવસ છે. જેના સ્મરણ માત્રથી પાપોનો નાશ થાય છે તેવી આ વિશ્વની એકમાત્ર નદી છે. આજે સુરતીઓ દ્વારા તાપી મૈયાની પૂજા કરવામાં આવે છે. તાપીના પ્રાગટ્યદિન જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરાય છે. આજે સુરતના ખેડૂતો તાપી માતાનાજન્મ દિવસની ઉજવણી કરતા હોય છે.
સૂર્યપુત્રી તાપી માતાનાં જન્મદિવસની સમગ્ર સુરતમાં ઉજવણી કરવામાં આવશે. તાપીનું મહત્વ એનાથી આંકી શકાય કે તેના સ્મરણ માત્રથી તમામ પાપોનો નાશ થાય છે. ગંગા નદીમાં સ્નાન કરવાથી, નર્મદા નદીના દર્શન કરવાથી, સરસ્વતિ નદીનું આચમન કરવાથી પવિત્ર થવાય છે. સુરત શહેરનાં લોકો માટે જીવાદોરી સમાન તાપી માતાના મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તાપી મહાપુરાણ માહાત્મ્ય ગ્રંથ અનુસાર બ્રહ્માજીએ પૃથ્વી સર્જનની કથાના વર્ણન પ્રમાણે સૂર્યનારાયણની સ્તુતિ ઉપાસના કરી, પરંતુ તેનો અત્યંત તેજોમય પ્રકાશ જીવોથી સહન ન થયો અને આખરે ભગવાન સૂર્યનારાયણની સહાનુભૂતિના કારણે જમણી આંખમાંથી આંસુ સરી પડયા, જે તાપી નદી બનીને વહેવા લાગ્યા.
મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાં બૈનુલના મુલતાઇ ગામમાં તળાવ પાસે અષાઢ સુદ સાતમને દિવસે તાપી નદીનું પ્રાગટય થયું હતું. તાપી નદી મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર થઇ ગુજરાતના અન્ય પ્રદેશોમાંથી પસાર થઇ સુરત શહેર નજીક મહાપુરૂષ દુર્વાશા ઋષિની તપોભૂમિ ડુમસ પાસે અરબી સમુદ્રને મળે છે. અનેક પુરાણ ગ્રંથોમાં તાપી નદીનો સૂર્યપુત્રી તરીકે ઉલ્લેખ થયો છે. ગંગા, નર્મદા, સરયુ અને સાબરમતી નદીઓનું અસ્તિત્વ ન હતું ત્યારે સૂર્યપુત્રી તાપી નદીનું પ્રાગટય થયું હતું.
16મી અને 17મી સદીમાં સુરત એક આંતરરાષ્ટ્રિય બંદર હતું અને તેમાં મોટા વેપાર થતા હતા. તાપી નદીના સુરતના બંદરે યુરોપ, આફ્રિકા, ઇરાન તેમજ એશિયાના વિવિધ બંદરો સાથે જળ માર્ગે જોડાયેલું હતું. એ સમયે તાપી નદીમાં 1500 ટન સુધીની ભારક્ષમતાવાળા વહાણો આવતા હતા. જેના દ્વારા તાપી નદીની ઊંડાઇ અને વિશાળતાનો ખ્યાલ આવે છે.
સૂર્યપુત્રી તાપી નદીનો આજે જન્મદિવસ હોવાથી તાપીમાં સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તાપી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનું પણ સામે આવ્યું છે. તાપી નદી સફાઈ અભિયાન દરમિયાન મોટી સંખ્યામાં મૃત માછલી જોવા મળી હતી.
ખાસ વાત છે કે. “गंगा स्नान, नर्मदा दर्शन च ताप्ती स्मरण पापम नश्यति”, અર્થાત ગંગા નદીમાં સ્નાન કરવાથી, નર્મદા નદીના દર્શન કરવાથી અને તાપી નદીના સ્મરણ માત્રથી વ્યક્તિને પોતાના પાપો માંથી મુક્તિ મળે છે. જી હા સુરતમાંથી પસાર થતી તાપી નદીનો આજે જન્મદિવસ છે, જેને ખૂબ ઉત્સાહ સાથે આજે સુરતીઓ મનાવે છે.