કોરોના વધતા સંક્રમણના નિયંત્રણ માટે ખાનગી ડોકટર્સ સાથે ચર્ચા કરી એમના સૂચનો લીધા
પાટણ જિલ્લામાં પ્રતિદિન કોરોના વાયરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. શરૂઆતના તબક્કાથી જ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તો કાબૂમાં લઇ શકાય. આ બાબતને ધ્યાને લઇ જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીએ પાટણ શહેરના ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટર્સની કલેકટર કચેરી ખાતે મીટીંગ કરી હતી.
આ મીટીંગમાં કલેકટરએ ડોકટર્સને ત્રીજી લહેરની શરૂઆતથી જ ખાનગી અને સરકારી હોસ્પિટલ્સ વચ્ચે યોગ્ય સંકલન રહે એ માટે સૂચન કર્યું હતું. ડોકટર્સ પોતાની દૈનિક ઓપીડીમાં જે દર્દીઓને તપાસે એમાં કોઇ શંકાસ્પદ લક્ષણો ઘરાવતા દર્દીઓ હોય તો તેઓ કયા વિસ્તારના લોકો છે એની જાણ કરે તો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એ વિસ્તારો અને ગામોમાં સઘન સર્વેલન્સની કામગીરી કરીને વધુ સંક્રમણ થતું અટકાવી શકે. ખાનગી તબીબોને ત્યાં જે દર્દીઓ કોવિડ પોઝીટીવ આવેલ હોય કે હોમ આઇસોલેશનમાં હોય એની વિગતો નિયમિત રીતે મળી રહે તો તેમનું યોગ્ય મોનીટરીંગ થઇ શકે એમ કલેકટરએ જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીએ પાટણ જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ બેડની વિગતો નાગરિકોને મળી રહે એ માટે બીજી લહેર વખતે તૈયાર કરાયેલ પોર્ટલને ફરીથી શરૂ કરવામાં આવશે એમ જણાવ્યું હતું. જેથી, લોકોને ઉપલબ્ધ બેડની માહિતી સરળતાથી મળી રહે. જો ધારપુર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે દર્દીઓમાં વધારો થાય તો ખાનગી ડોકટર્સને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ખાનગી તબીબોની ઓપીડીમાં સામે આવતા કેસોની સમયસર વિગતો મળી રહે તો વહીવટીતંત્ર એ દિશામાં ખૂબ ઝડપથી કામ કરી શકે ઉપરાંત, પોર્ટલ પર નાગરિકોને ખાલી બેડની માહિતી સચોટ રીતે મળી રહે તો તેમને ત્વરિત સારવાર માટે ખૂબ મદદરૂપ બની શકે.
આ મીટીંગમાં આવેલ તબીબોના સૂચનો કલેકટર દ્વારા લેવામાં આવ્યા હતા. આ મીટીંગમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણના સેક્રેટરી ર્ડા.મોનીષ શાહ, આઇ.એમ.એ.પાટણના સેક્રેટરી ર્ડા.નિલેશ પટેલ, ધારપુર મેડીકલ કોલેજના સુપ્રિટેન્ડન્ટ ર્ડા.મનીષ રામાવત, સિવિલ સર્જન ર્ડા.અરવિંદ પરમાર, નામાંકિત ફિઝિશિયન ડોકટર્સ તથા ડિઝાસ્ટર મામલતદાર હિતેશ રાવલ ઉપસ્થિત રહ્યા હતા.