કલેક્ટરએ સેદ્રાણાની મક્તબા હોસ્પીટલમાં સારવાર લઈ રહેલ કોરોનાના દર્દીઓની મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કુંવારા, દશાવાડા અને સેદ્રાણા ગામની જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ રૂબરૂ મુલાકાત લીધી હતી. કોરોના વાયરસના સંક્રમણથી પ્રભાવિત એવા આ ગામોના આગેવાનો સાથે બેઠક યોજી કલેક્ટરશ્રીએ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન સહિતની બાબતો અંગે ચર્ચા કરી હતી.

જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ ગામમાં આગેવાનોની બેઠકમાં જણાવ્યું હતું કે જો કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવું હશે તો આગામી થોડાક દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કરવું અતિઆવશ્યક છે. આગેવાનો દ્વારા લોકોને અપીલ કરવામાં આવે કે ગ્રામજનો ખૂબ જ અગત્યના કામ વગર ઘરની બહાર ન નીકળે અને માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તો આપણે ગામને અવશ્ય કોરોના મુક્ત કરી શકીશું. વધુમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, જેને પણ શરદી, તાવ કે કળતર જેવા હળવા લક્ષણો જણાય તેમણે પહેલા જ દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવાર માટે આપવામાં આવતી દવાઓનો ઉપયોગ શરૂ કરી દેવો જોઈએ અને સેલ્ફ આઈસોલેશનનું પાલન કરવું જોઈએ. જેનાથી શરૂઆતથી જ તેના પર કાબુ મેળવી શકાય અને દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત ઉભી ન થાય.

જિલ્લા કલેક્ટરએ સેદ્રાણા ગમમાં ૫૦ ઓક્સિજન બેડની સુવિધા ધરાવતી મક્તબા હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દાખલ કોરોનાના દર્દીઓને મળીને એમની સારવાર અંગે પૂછપરછ કરી હતી. ગામમાં જ કોરોનાના દર્દીઓને ઓછ દરે સારવાર અને દવાઓ આપતી હોસ્પિટલની સેવાને કલેક્ટરશ્રીએ બિરદાવી હતી. આ વખતે હોસ્પિટલના ટ્રસ્ટીશ્રી અબ્બાસભાઈ મોમીન અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ દશાવાડા ગામમાં ઉભું કરવામાં આવેલ ૧૫ બેડના કોવિડ કેર સેન્ટરની મુલાકાત પણ લીધી હતી. વાયરસથી સંક્રમિત થયા હોય અને નાના ઘર કે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તેવા ગ્રામજનો ઘરના સભ્યોને સંક્રમિત ન કરે તે માટે ગામમાં જ શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ થાય તે માટે પણ જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા વહિવટી તંત્રના સંકલનમાં સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જે દરમ્યાન હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને દવાની કીટ પણ આપવામાં આવી રહી છે. આ સર્વેલન્સ દરમ્યાન વધુ સંક્રમણ ધરાવતા ગામોમાં લોકજાગૃતિ કેળવાય તથા સંક્રમણ અટકાવવા સઘન પ્રયત્નો થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ સરપંચઓ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી વહિવટી તંત્રને સહકાર આપવા ઉપરાંત સ્વયંશિસ્તના પાલન થકી ગામને કોરોનામુક્ત કરવા માર્ગદર્શન અને પ્રેરણા આપી હતી. જિલ્લા કલેક્ટરની આ મુલાકાત દરમ્યાન પ્રાંત અધિકારી ડો.સુપ્રિયા ગાંગુલી, મામલતદારશ્રી કનકસિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.એ.રાજપુરા અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.હાર્દિક ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024