પાટણ શહેરમાં એકબાજુ ઠેરઠેર ગંદકીનું સામ્રાજય જોવા મળી રહયું છે અને આ ગંદકીના સ્પોટ પર વરસાદી માહોલ હોવા છતાં પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની દવાનો છંટકાવ કરવામાં ન આવતાં સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહયા છે.
તો બીજીબાજુ સ્વચ્છતાના ચેરમેન અને વોર્ડ ઈન્સ્પેકટરો દ્વારા શહેરને સ્વચ્છ રાખવા લારી ધારકો પર તવાઈ કરી બસ્સો રુપિયાનો દંડ ઉઘરાવવાની કાર્યવાહી કરી રહી છે. આમ, સ્વચ્છતા કર્મચારીઓ દ્વારા શહેરને સ્વચ્છ રાખવામાં તેઓ બેબાકળા પુરવાર થતાં લારી ધારકોને નિશાન બનાવી તેઓની ઉપર દોષનો ટોપલો ઢોળી રહયા હોય તેવું પણ દેખાઈ રહયું છે.
ત્યારે આજરોજ પાટણ શહેરના પ્રગતિ મેદાન પાસે ઉભી રહેતી શાકભાજીની લારીઓનું દબાણ સ્વચ્છતાના કર્મીઓ દ્વારા હટાવવામાં આવતાં લારી ધારકોમાં પાલિકાની કામગીરી પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. અને આ તમામ લારીઓને પ્રગતિ મેદાન પાસેના ફૂટપાથ પર ઉભા રહેવાની સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારે આ હોબાળા દરમ્યાન સ્વચ્છતાના ચેરમેન ગોપાળ રાજપૂતે તમામ શાકભાજીની લારીઓ બળીયા હનુમાનના માલિકીની પ્રગતિ મેદાનમાં ખસેડવા સૂચના આપતાં મામલો ગરમાયો હતો ત્યારે ગોપાળ રાજપૂતે લારીધારકોને હું કહું તો પાટણ છોડીને પણ જતા રહેવાની વોર્ડ ઈન્સ્પેકટરના ફોન પર ધમકી આપી હોવાના અશોક પટણીએ આક્ષોપો કર્યાં હતા.
તો ગોપાળ રાજપૂતે ચોમાસા દરમ્યાન થોડીઘણી ગંદકી રહેવાનું સ્પષ્ટપણે કેમેરાની સામે જણાવી પોતાના કર્મચારીઓની અયોગ્ય કામગીરીને ઢાંકવાનો પ્રયાસ કર્યોં હતો. તો ચોમાસામાં થોડીઘણી ગંદકી રહેતી હોય તો લારી ધારકોને શા માટે દંડવામાં આવે છે તેવો પણ પ્રશ્ન ઉદભવી રહયો છે. આમ, સ્વચ્છતાના ચેરમેન આજે લારી ધારકોને ખુલ્લી ધમકીઓ આપતાં મામલો ગરમાયો હતો અને ઘોડા છુટયા બાદ તબેલાને તાળા મારવા જેવી પાલિકામાં સ્થિતિનું નિર્માણ થતાં ચોમાસુ પૂર્ણ થતાં દવાઓ મંગાવવામાં આવી છે
ત્યારે દૈર સે જાગે, દુરસ્ત જાગે ની સ્થિતિનું નિર્માણ કરી પાલિકા દ્વારા વરસાદી પાણી ભરાઈ રહેતી જગ્યાઓ પર દવાઓનો છંટકાવ વહેલી તકે કરવામાં આવે તો પણ દવાઓ મંગાવામાં આવી તે સાર્થક નિવડશે. આમ લારી ધારકોના દબાણ અને સ્વચ્છતાના મુદે પ્રગતિ મેદાન પાસે ઉભી રહેતી લારી ધારકો અને સ્વચ્છતાના ચેરમેન વચ્ચે તૂ તૂ મેં મેં ના દૃશ્યો સર્જાતા વિવાદ સર્જાયો હતો.