પાટણ જિલ્લામાં ભૂગર્ભ પાણીના સ્તર ખૂબજ ઉંડા ગયા છે ત્યારે ચાલુવર્ષે વરસાદ પણ પુરતા પ્રમાણમાં થયો નથી ત્યારે સિધ્ધપુર તાલુકામાં સિંચાઈની કોઈ વ્યવસ્થા નથી તે જોતાં અત્યારની સિઝનમાં ખેડૂતોની શિયાળુ રવિપાક માટે ખેતરમાં પાણી આપવા માટે ખૂબજ જરુરીયાત ઉભી થવા પામી છે.
હાલમાં રાયડા, બટાટા તેમજ એરંડા સહિત ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે તે દરમ્યાન ખેડૂતોને પાણીની ખૂબજ જરુરીયાત હોઈ બાર કલાક દિવસે વિજળી આપવા માટે સિધ્ધપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી.
હાલની પરિસ્થિતિ જોતા ખેડૂતોને માંડ ચારથી પાંચ કલાક વિજળી આપવામાં આવી રહી છે જેમાં ખેડૂતોને ખેતરમાં પુરતું વાવેતર કરવા માટે પાણી મળી શકતું નથી અને વધતી જતી મોંઘવારી, ડિઝલ-પેટ્રોલના ભાવમાં વધારો, ખાતરના ભાવમાં વધારો, રાસાયણિક દવાના વધારા સહિત અન્ય જગ્યાએથી ખેડૂત ઉપર દિન પ્રતિદિન બોજ વધતો જતો હોવાથી સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોને પુરતી વિજળી બાર કલાક આપવા સહિત ખાતરનો ભાવ વધારો કરેલ છે તે પરત ખેંચે તેમજ ટેકાના ભાવથી ખેડૂતોને ખેત પેદાશ ખરીદવાનું આયોજન કરે તેવી માંગ કરવામાં આવી હતી.
ત્યારે સિધ્ધપુરના ધારાસભ્યની આગેવાની હેઠળ સિધ્ધપુર તાલુકાના કોંગ્રેસના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો સાથે વધી રહેલા ભાવ વધારાને લઈ વિવિધ બેનરો સાથે પ્રતિક ધરણા કરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.