ગાંધીનગર : “ભણશે ગુજરાત તો વધશે ગુજરાત” નો નારો જોરશોરથી રાજ્ય સરકાર દ્વારા બોલાવવામાં આવે છે. ગુજરાતની શાળાઓમાં 34506 શિક્ષકોની ઘટ છે. આપણે ત્યાં પૂરા શિક્ષકો જ નથી તો કેવી રીતે ભણશે ગુજરાત?  ગુજરાતમાં 34506 શિક્ષકોની ઘટ પુરવા સત્વરે ભરતી કરવાની ટેટ અને ટાટના ઉમેદવારોએ સરકાર પાસે માંગ કરી છે, આવતા અઠવાડીએ શાળાઓ ખુલી જશે અને વિદ્યાર્થીઓ ભણવા પણ આવી જશે, પણ અહીંયા સવાલ એ છે કે, ગુજરાતની શાળાઓમાં 34506 શિક્ષકોની ઘટ તો  કેવી રીતે  ભણશે ગુજરાત? 

રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની 34506 જગ્યાઓ ખાલી છે. દર વર્ષે શિક્ષકો નિવૃત થતાં હોવાથી ખાલી જગ્યાઓ વધતી જાય છે. ત્યારે આગામી નવા શૈક્ષણિક વર્ષથી શિક્ષકોની કાયમી ભરતી કરીને ખાલી જગ્યાઓ ભરવા ટેટ અને ટાટના ઉમેદવારોએ માગણી કરી છે.  શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પુરવાને બદલે 11 મહિનાના કરાર આધારીત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે.  

તત્કાલિન સમયે જ્ઞાન સહાયકોની ભરતીના વિરોધમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ અનેક કાર્યક્રમો કરવા છતાં રાજ્યનું શિક્ષણ વિભાગ ટસનું મસ થયું નહોતુ. આથી ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા લોકસભાની ચૂ્ંટણીમાં વિરોધ કરવાની ચીમકી આપી હતી. તેમ છતાં શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાએ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. પરંતુ લોઅર પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે કાયમી વિદ્યાસહાયકોની ભરતીની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આથી આવી જ રીતે રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આચાર્યો તેમજ વિષયવાર શિક્ષકોની ખાલી જગ્યાઓની ભરતી નવા શૈક્ષણિક વર્ષમાં કાયમી ભરતીની કામગીરી શરૂ કરવામાં આવે તેવો આશાવાદ ટેટ અને ટાટ પાસ ઉમેદવારોમાં ઉભો થયો છે.

નવા શૈક્ષણિક વર્ષના પ્રાંરભ પહેલાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી 34506 જગ્યાઓમાં કરાર આધારીત જ્ઞાન સહાયકને બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી રજુઆત સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ શિક્ષણ મંત્રીની મુલાકાત કરી હતી. ઉપરાંત વધુને વધુ ઉમેદવારોનું શિક્ષણ બનવાનું સ્વપ્ન પૂર્ણ થાય તે માટે ક્રમિક ભરતી કરવામાં આવે તેવી અપેક્ષા ઉમેદવારોએ વ્યક્ત કરી હતી. કેમ કે ગત વર્ષ-2017 પછી ગત વર્ષ-2023માં ટેટ અને ટાટ પરીક્ષા લેવામાં આવી હતી. આથી અન્ય ઉમેદવારોને અન્યાય થાય નહી તે મુજબ શિક્ષકોની કાયમી ભરતીનું આયોજન કરવામાં આવશે તેવો આશાવાદ ઉમેદવારોએ વ્યક્ત કર્યો હતો.

PTN NEWSના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો : https://chat.whatsapp.com/IcLpmR90fu5FrOpynsbqoI

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024