પાટણના શિક્ષક અને પૂર્વ ટીપીઓ તુલસીભાઇ પરમારે વધુ એક દ્રષ્ટાંત ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે પુરૂ પાડ્યું છે. જેમાં ગુરુ દ્વારા દક્ષિણા લેવાના બદલે શાળાના ધોરણ – 1 ના 27 બાળકોને આઠમા ધોરણ સુધી સ્વખર્ચે ભણાવવા માટે દત્તક લઇતેમની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓની જવાબદારી શિરે લઇ આજના શિક્ષકો માટે ઉતમ સંદેશો વહેતો કર્યો છે. ઉલ્લેખનીય છે કે તેઓ 31 ઓગસ્ટે નિવૃત્ત થઇ રહ્યા છે.
ગુરુ અને શિષ્યના પાવન દિવસે ખોડિયારપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અને 14 માસ સુધી પાટણ તાલુકા પ્રાથમિક અધિકારી તરીકે ચાર્જમાં રહેલ તુલસીભાઇ પરમાર 31 ઓગસ્ટના રોજ વયમર્યાદાના કારણે નિવૃત થનાર છે. ત્યારે નિવૃત જીવનકાળ પણ શિષ્યોની મદદમાં વીતે તેવા આશયથી શાળાના ધોરણ – 1 નામાંકન થયેલ 27 બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા અને બાળકોને પ્રથમ દિવસે જ ગણવેશ આપી ધોરણ – 1 થી આઠ સુધી શિક્ષણ તેમજ ભૌતિક સુવિધાઓ પુરી પાડવા માટેની જવાબદારી લીધી હતી. ત્યારે ગુરુનો શિષ્યો પ્રત્યે નિવૃત થયા બાદ પણ મદદરૂપ થવાના આશ્રયને લઇ બાળકોના વાલીઓ સહીત અન્ય શિક્ષકોમાં ગર્વ સાથે આદરની લાગણી જોવા મળી હતી.
શિક્ષક તુલસીભાઈએ જણાવ્યું હતું હું ખોડિયાર પરા વિસ્તારમાં ગયો હતો ત્યારે બાળકોની આર્થિક સ્થિતિ ખરાબ હોય તેની અસર તેમના શિક્ષણ પર ના પડે તેવા હેતુથી આ બાળકોને દત્તક લીધા છે.મારું નિવૃત જીવન આ બાળકોના ભવિષ્ય સુધારવામાં પસાર કરીશ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.