પાટણ શહેરમાં આવેલી વિશ્વ વિરાસત રાણીની વાવનું રુપિયા સો ની ચલણી નોટમાં સ્થાન મળ્યા બાદ દેશ વિદેશના સહેલાણીઓની સંખ્યામાં પણ તેના સ્થાપત્યોને નિહાળવા માટે ઘસારો દિન પ્રતિદિન વધી રહયો છે ત્યારે વિશ્વ વિરાસત માર્ગને હેરીટેજ માર્ગ આપી તંત્ર દ્વારા અહીં વિકાસના કામો હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે તાજેતરમાં જ હેરીટેજ માર્ગ પર વરસાદી પાણી ભરાઈ રહેતી જગ્યાઓ પર સ્ટ્રોમ ડ્રેનેજ ભૂગર્ભ લાઈન લાખો રુપિયાના ખર્ચે નાંખવામાં આવી હતી.
પરંતુ નગરપાલિકાના કોન્ટ્રાકટર દ્વારા આ સ્ટ્રોમ ડ્રેનેજ ભૂગર્ભ ગટર લાઈન નાંખવામાં બેદરકારી દાખવી હલકી ગુણવત્તાવાળુ કામ કરતાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ સ્ટ્રોમ ડ્રેનેજ ભૂગર્ભ ગટરની તમામ ટાંકીઓ જમીનમાં ઘસી જવાના કારણે હેરીટેજ માર્ગ પર મસમોટા ખાડાઓનું નિર્માણ થવા પામ્યું છે.
ત્યારે અહીંથી પસાર થતાં સ્થાનિક રહીશો સહિત વાહન ચાલકો અને દેશ વિદેશથી આવતાં સહેલાણીઓ પણ આજે હેરીટેજ માર્ગ પર પડેલા ખાડાઓને લઈ પાટણ શહેરની ખરાબ છાપ લઈને જઈ રહયા હોવાના આક્ષોપો સ્થાનિક રહીશ ભરત ઠાકોરે કરી પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે હેરીટેજ માર્ગ પર પડેલા ખાડાઓને પુરવાના કામ સહિત ઘસી ગયેલી સ્ટ્રોમ ડ્રેનેજ ભૂગર્ભ ટાંકીઓનું પણ યોગ્ય રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી. એટલું જ નહીં સ્ટ્રોમ ડ્રેનેજ ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી પૂર્ણ થયા બાદ પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા રોડનું યોગ્ય પુરાણ પણ ન કરાતાં રોડની સાઈડમાં ઠેરઠેર ભુવાઓનું પણ નિર્માણ થવા પામ્યું છે.
ત્યારે આ પડી ગયેલા ખાડાઓમાંથી આજે ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહન ચાલકોને પોતાના વાહનોને લઈ ને વિશ્વ વિરાસત રાણીની વાવ આવવા જવા માટે ખૂબજ હાલાકી ભોગવવી પડી રહી છે. જો ચાલુ વરસાદમાં ખાડામાં પાણી ભરાઈ જાય તો બહારથી આવતાં સહેલાણીઓનો આ પડી ગયેલા મસમોટા ખાડાઓને લઈ અકસ્માત થવાનો પણ મોટો ભય સતાવી રહયો છે. જેથી પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે આ ખાડાઓનું પીચીંગ કામ કરી યોગ્ય રીતે તેનું પુરાણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ત્યારે પૂર્વ કોપોરેટર મધુભાઈ પટેલે પાલિકાના ભ્રષ્ટ વહીવટ સામે સવાલો ઉઠાવી સ્ટ્રોમ ડ્રેનેજ ભૂગર્ભ ગટર લાઈનમાં મસમોટો ભ્રષ્ટાચાર પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાકટરે આદર્યો હોવાના આક્ષોપો કરી કોન્ટ્રાકટરની શરતોમાં ખોદેલા રોડ પર પીચીંગ કામ કરીને રોડ દબાય નહીં તે રીતેનું કામ કરવાનું હોવા છતાં પાલિકાના સત્તાધીશો કોન્ટ્રાકટરને કેમ વધુમાં વધુ ફાયદો થાય તે દિશામાં પ્રયત્નો કરી પ્રજાજનોની સુવિધામાં દુવિધાઓ ઉભી કરી રહયા હોવાના આક્ષોપો કર્યાં હતા.