રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિને સમગ્ર રાષ્ટ્રમાં દેશની આઝાદીને ૭પ વર્ષ પૂર્ણ થવાના આરે આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પાટણ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર અને આઇ.સી.ડી.એસ વિભાગ દ્રારા આયોજીત આઝાદી કા અમૃત મહોત્સવની પાટણમાં સ્વચ્છ ભારત(કલીન ઇન્ડીયા) અંતર્ગત પાટણ જિલ્લા માં સ્વચ્છતા સિંગલ યુઝ પ્લાસ્ટીક એકત્રીકરણ અભિયાન રેલીને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાનુમતીબેન મકવાણા, જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
આ રેલીમાં સ્વચ્છતાના સુત્રોચ્ચાર તેમજ કેન્ડલ રેલી યોજાઇ હતી આ રેલીમાં આરોગ્ય – પોષણ આઇ.સી.ડી.એસ ની સેવાઓના બેનર અને કેન્ડલ સ્ટીક દ્રારા જન જાગૃતિનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો. આ રેલી જિલ્લા પંચાયત થી રેલ્વે સ્ટેશન સુધી સુત્રોચ્ચાર કરતી નીકળી અને રેલ્વે સ્ટેશન ખાતે સહી ઝુબેશ હાથ ધરવામાં આવી હતી. તેમજ દરેક ગામની આંગણવાડીઓમાં પ્લાસ્ટીક એકત્રીકરણ કરી ગામની ગ્રામ પંચાયતની કચરાપેટીમાં જમા કરવામાં આવ્યો હતો.
તો આ જનજાગૃતિનો કાર્યક્રમ શહેરીજનોમાં જાગૃતિ આવે તે હેતુથી રેલવે સ્ટેશનથી બગવાડા સુધીનો રેલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પરંતુ આઈસીડીએસ ના પ્રોગ્રામ ઓફિસર દવારા અચાનક કાર્યક્રમમાં ફેરફાર કરી જિલ્લા પંચાયતથી રેલવે સ્ટેશન સુધી રેલી કાઢવામાં આવતા કેટલાક ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો મુંઝવણમાં પણ મુકાયા હોવાનું જાણવા મળ્યું હતું.
આ રેલીમાં મહિલા અને બાળ વિકાસ કલ્યાણના ચેરમેન સેજલબેન દેસાઇ, પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી, તાલુકા બાળ વિકાસ યોજનાના અધિકારીશ્રીઓ, આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા.