દિવાળી એ અંધકારને પ્રકાશમાં ફેલાવતું પર્વ છે. આ પર્વ હવે નજીકના દિવસોમાં આવી રહયું હોઈ સૌ કોઈ તેની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. ખાસ કરીને દિપોત્સવીના પાંચ શ્રૃંખલાના આ પર્વમાં લોકો પોતાના ઘરે દિવડા પ્રગટાવી રોશનીના આ પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે.
આ પર્વ પાછળ અનેક પ્રાચિન દંતકથાઓ સંકળાયેલી છે. કહેવાય છે કે, ભગવાન શ્રીરામ ચૌદ વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફર્યાં તેની ખુશીમાં અયોધ્યા વાસીઓએ સમગ્ર નગરમાં દિવડા પ્રજવલીત કરી અને ફટાકડા ફોડીને તેમના આગમનની ઉજવણી કરી હતી.
અને ત્યારથી આ પર્વને ઉજવવામાં આવે છે. ત્યારે આજ કાલ પાટણના ગ્રામીણ વિસ્તારોમાં કુંભાર જ્ઞાતિના લોકો તળાવની ચીકણી માટીમાંથી કોડીયા બનાવવાની તૈયારીઓમાં વ્યસ્ત બનેલા જોવા મળી રહયા છે.
ઘણી મહેનતના અંતે તૈયાર થયા બાદ તેને કલર કરી આખરી ઓપ અપાઈ રહયો છે. માટીના આ કોડીયા દિવાળીના તહેવારોમાં દરેક લોકોના ઘર આંગણામાં પ્રકાશ પાથરી અંધકારને દુર કરશે.
પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી માટીના આ પરંપરાગત કોડીયાની સાથે વિવિધ ડીઝાઈનીંગ અને કલાત્મક કોડીયાનું વેચાણ પણ વધ્યું છે. છતાં લોકો માટીના કોડીયામાં જ દિવાળીના તહેવારો દરમિયાન દિવડા પ્રગટાવી અંધકારને પ્રકાશમાં ફેલાવતાં આ પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે. તો દીવાળીના ત્યોહારને લઈ બજારમાં માટીના દીવાની ખરીદી કરતા શહેરી જનો જોવા મળ્યા હતા.