- પાટણ જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
- કોવિડની ત્રીજી લહેરનો સામનો કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.
- પ્રભારી સચિવ મમતા વર્માની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીએ તંત્રએ કરેલા આયોજનનો વિસ્તૃત ચિતાર રજૂ કર્યો.
કોરોનાવાયરસની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે પાટણ જિલ્લામાં વાયરસના સંક્રમણ પર નિયંત્રણ આવે તે માટે લેવામાં આવેલા પગલા તથા સારવાર માટે ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની પાટણ જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ સમીક્ષા કરી હતી. પ્રભારી સચિવ મમતા વર્માની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટીએ વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અને આયોજનનો ચિતાર રજૂ કર્યો હતો.
જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા RTPCR ટેસ્ટિંગ, ટેસ્ટિંગ લેબ અને કોવિડના કેસોની માહિતી આપવા સાથે આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ધન્વંતરી રથ, કોવિડ ફ્લુ ક્લિનિક, હાઉસ ટુ હાઉસ સરવે તથા હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને દવાના વિતરણ સહિતની વિગતો રજૂ કરવામાં આવી હતી.
સાથે જ જિલ્લા કલેકટરએ પાટણ જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ તથા સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો ખાતે ઉપલબ્ધ ઓક્સિજન બેડ, PSA ઓક્સિજન પ્લાન્ટ તથા ICU બેડ સહિતની આરોગ્ય સુવિધાઓની વિગતો પ્રભારી મંત્રી તથા પ્રભારી સચિવના ધ્યાને મૂકી હતી.
આરોગ્ય સુવિધાઓની સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી કોવિડ માર્ગદર્શિકા તથા SOP અંતર્ગત કરવામાં આવેલી કામગીરી ઉપરાંત રસીકરણ તથા માસ્ક ડ્રાઇવ અંગે પણ જિલ્લા કલેક્ટરએ વિસ્તૃત જાણકારી આપી હતી.
આ બેઠકમાં પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, યોગ્ય સંકલન દ્વારા ગ્રામ્ય કક્ષાએથી કોવિડના કેસોની માહિતી ઝડપથી મળે તથા તે ગામોમાં ધન્વંતરી રથની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવે તે જરૂરી છે. જે જગ્યાએ લોકોની અવર-જવર વધારે હોય તેવા વિસ્તારોમાં ટેસ્ટીંગનું પ્રમાણ વધારવું જોઈએ.
વધુમાં પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, કોવિડ માટે હેલ્પલાઇન શરૂ કરી તેની વિવિધ માધ્યમો દ્વારા બહોળી પ્રસિદ્ધિ કરવી જોઈએ. જિલ્લા વહીવટી તંત્ર અને સ્વેચ્છિક સંસ્થાઓ ભેગા મળી કોવિડથી રક્ષણ મેળવવા માસ્કના ફરજીયાત ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝેશન તથા રસીકરણ અંગે જાગૃતિ આવે તે માટે કામગીરી કરવી જોઈએ.
પ્રભારી સચિવ મમતા વર્માએ જણાવ્યું કે, પાટણ શહેરી વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા ફ્લુ ક્લિનિક જિલ્લાના અન્ય શહેરોમાં પણ શરૂ કરવા જોઈએ. કોરોના સંક્રમણની પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ.
આ બેઠકમાં સાંસદ ભરતસિંહ ડાભી, જી.આઇ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, પૂર્વ કેબિનેટ મંત્રી અને ચાણસ્માના ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોર, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુબેન મકવાણા, નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ તથા તાલુકા પંચાયતના પ્રમુખઓ, જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, જિલ્લા સંગઠનના પ્રભારી ગોવિંદભાઈ પટેલ સહિતના હોદ્દેદારો-પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, મદદનીશ કલેકટર સચિન કુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોશી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.એ. આર્ય, પ્રાંત અધિકારીઓ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.ટી. સોનારા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા