જિલ્લાના ખેડૂતોનું આર્થિક પાસું મજબુત બને અને તેમના કૃષિ ઉત્પાદનોના વધુ ભાવ મળે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા ફાર્મર પ્રોડ્યુસર કંપની બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન તથા જળ શક્તિ અભિયાન અંગે માર્ગદર્શન આપવા પાટણ શહેરના ખોડિયાર મંદીર ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.
નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ(નાબાર્ડ)ના ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ મેનેજરશ્રી રાકેશભાઈ વર્માએ ખેડૂતોને ફાર્મરપ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનનું માળખુ કેવી રીતે હોય, નાબાર્ડ દ્વારા ખેડૂતોને કયા પ્રકારની સહાય મળી શકે તથા પ્રોડ્યુસર કંપનીમાં નાબાર્ડની ભૂમિકા વિશે અવગત કર્યા હતા. પ્રદેશ કિસાન વિકાસ સંઘના શ્રી કિર્તિભાઈ અમીન દ્વારા ખેડૂતોને પોતાના પાકને પ્રોસેસ કરી કઈ રીતે બજારમાં મુકવો, ખેડૂતના પાકની કઈ રીતે સારી કિંમત મળી રહે તેના થકી ખેડૂતોને શું લાભ થઈ શકે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
જળ શક્તિ અભિયાન અંતર્ગત ખેડૂતોને પાણીનો બચાવ કરી તેના કાર્યક્ષમ ઉપયોગ વિશે માર્ગદર્શન આપતા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલે ભુગર્ભ જળ સપાટી વધારી શકાય તે માટે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા ખેડૂતોને અપીલ કરી હતી સાથે સાથે જળસંચય માટેની પદ્ધતિઓ અંગે ચર્ચા કરી હતી. જળ શક્તિ અભિયાન અંતર્ગત ખેડૂતોએ જળ બચાવો ઝુંબેશના ભાગરૂપે પાણીનો બચાવ કરવા પ્રતિજ્ઞા લીધી હતી.
જિલ્લા ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, આત્મા પ્રોજેક્ટ, નાબાર્ડ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમોડાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ખેડૂત શિબીરમાં આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી મયુરભાઈ પટેલ, બાગાયત અધિકારીશ્રી મુકેશભાઈ ગાલાવાડિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સમોડાના કૃષિ વૈજ્ઞાનિકશ્રી ઉપેશકુમાર, સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.