ભારતવર્ષમાં ૧૬ સંશકારનું ખૂબ મહત્વ રહેલું છે જેમનો એક સંશકાર એટલે ચૌલક્રિયા. શક્તિપીઠ બહુચરાજીમાં ચૌલક્રિયાનું વિષેશ મહત્વ સંકળાયેલું છે. વર્ષ દરમિયાન ૩૦ થી ૩પ હજાર ચૌલક્રિયા ( બાબરી) ની પવિત્ર વિધિ આ સ્થાનકમાં કરવામાં આવે છે અને આ વિધિ થી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટને વર્ષે ૩૦ થી ૪૦ લાખની આવક પણ થાય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કહેર વચ્ચે ચૌલક્રિયા વિધિમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે.
શક્તિપીઠ બહુચરાજીમાં લાખોની સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શનાર્થ પધારે છે. અહીં દર્શનાર્થ આવતા શ્રધ્ધાળુ માં બહુચર પાસે અનેક પ્રકારની બાધા માનતા પણ રાખતા હોય છે. એમાંય ખાસ કરીને બાબરીની વિધિનું સવિશેષ મહત્વ આ શક્તિપીઠ સાથે સંકળાયેલું છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની ચૌલ ક્રિયા (બાબરી) આ સ્થાનક પર થઇ હોવાની પણ માન્યતા છે. આમ ભારત ભરમાંથી આવતા સર્વજ્ઞાતિના લોકોની બાબરીની વિધિ આ સ્થાનકમાં કરવાનું મહત્વ પણ સંકળાયેલું જોવા મળે છે. બાબરી માટે અહીં આવી ન શકતા એવા પરદેશમાં રહેતા ભક્તો વાળની લટને કવરમાં મૂકી પોસ્ટ કે કુરિયર દ્વારા મંદિરને મોકલીને પણ પોતાની માનતા પુરી કરતા પણ જોવા મળે છે.
હિન્દુ ધર્મમાં પરિવારમાં પ્રથમ પુત્ર સંતાનની ચૌલક્રિયા (બાબરી) ઉતરાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. જેમાં ભગવાન કૃષ્ણની પણ બાબરી અહીં કરવામાં આવી હતી. બહુચરાજી યાત્રાધામમાં આખો ચૈત્ર મહિનો અને વર્ષ દરમિયાન ચૌલક્રિયા માટે શ્રદ્ઘાળુઓથી અહીં મંદિર પરિસર ઉભરાય છે. જેમાં ખાસ કરીને ચાલુ દિવસે અને વિશેષ રવિવારે અહીં ભક્તો પોતાના બાળકના કેશ અહીં ઉતારતા હોય છે.ગુજરાત ભર માંથી શ્રદ્ઘાળુઓ અહીં પોતાના પરિવાર સાથે આવે છે અને પોતાના પ્રથમ પુત્રજન્મની ખુશાલીરૂપે બાળકની ચૌલક્રિયાની વિધિ અહીં પૂર્ણ કરી ધન્યતાની અનુભૂતિ કરે છે. જેમાં બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ ખાસ આયોજન પણ કરે છે
આદ્યશક્તિમાં બહુચરના સાનિધ્યમાં ચૌલ ક્રિયા માટે ભારત ભરમાંથી શ્રધ્ધાળુ પોતાના પરિવાર તેમજ સગા સંબંધીઓ સાથે અહીં પધારીને બાબરીની વિધિ માટે આવે છે અને પોતાની તેમજ સમાજના રીત અને રિવાજને અદા કરી માનતા પૂર્ણ કરે છે અને અહીં આ સ્થાનક સાથે સંકળાયેલ ચૌલક્રિયાની પરંપરાને અનુસરી વિધિ વિધાન મુજબ ચૌલક્રિયાની માનતા પૂર્ણ કરે છે.
શક્તિ પીઠ બહુચરજીમાં પોતાના સમાજ તેમજ વંશ પરંપરા મુજબ આવતા શ્રધ્ધાળુઓ આ સ્થાનક પર પોતાની બાબરી ચૌલ ક્રિયા વિધિ માટે આવે છે તેમના માટે બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બાળકો માટે ગરમ પાણી તેમજ અન્ય સુવિધા પણ પુરી પાડવામાં આવે છે. નોંધનીય બાબત તો એ છે કે વર્ષ દરમિયાન અંદાજે ૩૦ થી ૩પ હજાર જેટલી ચૌલક્રિયાની વિધિ માં બહુચરના સાનિધ્યમાં થાય છે અને આ વિધિ દરમિયાન મુંડન દરમિયાન નીકળતા વાળ તેમજ બાબરી વિધિ માટે આપવામાં આવતા દાનથી બહુચર માતાજી ટ્રસ્ટને વર્ષે ૩૦ લાખ થી વધુની રકમની આવક પણ થાય છે. પરંતુ છેલ્લા બે વર્ષ જેટલા લાંબા સમયથી કોરોના મહામારીને લઈ ચૌલક્રિયાની વિધિ કરવા આવતા શ્રદ્ઘાળુઓ તેમજ તેમાંથી થતી બહુચર માતાજી ટેમ્પલની આવકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
આમ આ સ્થાનક સાથે સંકળાયેલ આ પવિત્રવિધિ પૂર્ણ કરી શ્રધ્ધાળુઓ આનંદની અનુભૂતિ કરે છે અને જગત જનની માં બહુચર ના સાનિધ્ય માં પોતાના સંતાન અને પરિવારના દીર્ઘ આયુ માટે માના ચરણોમાં શીશ નમાવી ધન્યતાની અનુભૂતિ પણ કરે છે. ચૌલક્રિયાની વિધિ આ સ્થાનકમાં પૂર્ણ થતી હોવાથી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટને વર્ષે લાખ્ખોની આવક પણ થાય છે. જેમાં ભક્તોની સુવિધા પાછળ ટ્રસ્ટ સતત કાર્યરત રહે છે.