ચાણસ્મા તાલુકાના વસઈપુરા ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. જિલ્લાને હરિયાળો બનાવવાની નેમ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી વન વિભાગ દ્વારા જિલ્લાની ૭૧ ગ્રામ પંચાયતોમાં ૧,૧૧,૧૧૧ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું.
પ્રાસંગીક ઉદબોધન કરતાં કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓને સક્ષમ, આર્થિક રીતે મજબૂત અને પગભર કરી ગામડાઓના ઉત્થાન માટે મનરેગા યોજના હેઠળ અનેક વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં ૭૧ ઉપરાંત આગામી સમયમાં ૮૦ મળી કુલ ૧પ૧ ગ્રામ પંચાયતોમાં ઘનિષ્ઠ વનીકરણની કામગીરી કરવામાં આવશે. ઉપરાંત ત્રણ વર્ષ સુધી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તેની જાળવણીનું પણ કામ કરવામાં આવશે.
વધુમાં કેબિનેટ મંત્રીશ્રીએ ઉમેર્યું કે, તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યભરમાં દોઢ લાખ વૃક્ષો ધરાશાયી થયા, તેની ખોટ પૂરી કરવા વનીકરણ આવશ્યક બન્યું છે. સાથે જ કોરોના જેવી મહામારીમાં પ્રાણવાયુની સૌથી વધુ જરૂરિયાત ઉભી થતી હતી ત્યારે કુદરતી ઓકિ્સજન પ્લાન્ટ જેવા વૃક્ષોના વાવેતર અને તેના જતનની જવાબદારી આપણી સૌની છે. ગ્રામ વિકાસ માટે અમલી મનરેગા હેઠળ કરવામાં આવનારી વનીકરણની કામગીરીથી ગ્રામ પંચાયતની સ્થાયી મિલકત ઉભી થવા ઉપરાંત ગામના લોકોને રોજગારી પણ ઉપલબ્ધ બનશે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ જણાવ્યું કે, ચોમાસાની શરૂઆત સાથે જ વૃક્ષ વાવેતરની કામગીરી શરૂ થઈ જાય છે. આપણે વૃક્ષોનું મહત્વ સમજી મહત્તમ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવા અનુરોધ કર્યો હતો.