દાહોદ જિલ્લામાં આગામી હોળી અને ઘુળેટી પર્વ તેમજ આ નિમિત્તે વિવિધ મેળાઓ પણ યોજાશે ત્યારે પર્વની ઉજવણીના ઉમંગમાં વિવેક ભૂલીને વાહનચાલકો પર પાણી ભરેલા ફૂગ્ગા કે પ્લાસ્ટીકની થેલીઓ નાખનાર સામે કાર્યવાહી કરાશે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.બી. પાંડોરે એક જાહેરનામા દ્વારા આ સંદર્ભે આદેશો કર્યા છે.
તદ્દઅનુસાર, હોળી તથા ધુળેટીના પર્વ અને મેળાઓ દરમ્યાન કોઇ પણ વ્યક્તિ કે વ્યક્તિઓએ મંડળી બનાવી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોના જાહેર સ્થળો અને માર્ગો ઉપર આવતા જતા રાહદારીઓ, વાહનચાલકો, મકાન કે મિલ્કતો તેમજ વાહનોમાં મુસાફરી કરી રહેલા મુસાફરો કે માલસામાન ઉપર કાદવ, કીચડ, રંગ અથવા રંગમિશ્રિત કરેલું પાણી, તેલ તથા તેવી કોઇ વસ્તુ ભરેલ ફુગ્ગા, પ્લાસ્ટીકની થેલી કે વસ્તુ નાખવી નહી.
તેમજ પર્વ દરમિયાન કે જાહેર માર્ગો ઉપર આડસ –પથ્થર મૂકીને કે અન્ય રીતે આડસ કરીને વાહનો રોકવા નહી તેમજ પૈસા ઉઘરાવવા નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.