Patan News : પાટણ શહેરમાં ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળની ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ પાટણની ટીમને સાથે રાખીને શુકવારના રોજ બપોરના સમયે શહેરના છીડાયા દરવાજા બહાર બહુચર ટ્રેડર્સ (Raid on Bahuchar Traders) નામની દુકાન ઉપર રેડ કરી તપાસ હાથ ધરી હતી.
દુકાનમાંથી 148 કિલોના 10 તેલના ડબ્બા લેબલ વગરના સિલ કર્યા હતા જેની કિંમત રૂપિયા 13,320 હજારનો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી સેમ્પલ લઇ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલી આપી વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સિનિયર ફુડ ઓફિસર કે આર પટેલે જણાવ્યું હતું.
આ બાબતે મળતી માહીતી મુજબ ગાંધીનગર મુખ્ય મથક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પાટણ શહેરના છીડાયા દરવાજા બહાર શીતળા માતાજી મંદિર નજીક બહુચર ટ્રેડર્સમાં લેબલ વગરના રિફાઇન પામોલિન તેલ ભેળસેળ યુક્ત વેચાય છે ત્યારે શુક્રવારના રોજ ગાંધીનગર અને પાટણની ટીમ સાથે ઉપરોક્ત સ્થળ ઉપર રેડ કરી તપાસ કરતા સ્થળ ઉપરથી લેબલ વગરના કુલ 10 જેટલા શંકાસ્પદ તેલના ડબ્બામાંથી સેમ્પલ લઇ તમામ ડબાઓ કબ્જે કરી સેમ્પલને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
પાટણ શહેરના ત્રણ દરવાજા સ્થિત ઘી બજારમાં અવાર નવાર આવા ભેળસેળ કરતા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ થતા અનેક આવા વેપારીઓ ઝડપાતા રહે છે, ઘણા એવા વેપારીઓ પણ છે જે હાથમાં નથી આવતા તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વારંવાર આવી રેડો કરી સખ્ત કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે. પાટણ ના અમુક વહેપારીઓ ગ્રાહક જોડેથી પૈસા પુરા લેવા છતાં આ રીતે ભેળસેળ વારી વસ્તુ આપે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરે તે કેટલું યોગ્ય.
ગાંધીનગર અને પાટણ ફુડ વિભાગના (Food and Drugs Department Raid) અધિકારી સહિતની ટીમ દ્વારા શહેરના છીડિયા વિસ્તારમાં તેલિયા રાજાઓની દુકાન ઉપર રેડ કરી તપાસ હાથ ધરી હોવાની ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરતા અન્ય ભેળસેળીયા વેપારીઓમાં થતા કેટલાક વેપારીઓ પોતાની દુકાનને તાળા મારીને ભૂગર્ભમાં ગરક થઈ ગયા હતા. તો અધિકારીઓની રેડના પગલે કેટલાક વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.