- સરકારને રાજકોટ અગ્નિકાંડ પીડિતોની યાદ આવી
- રાહુલ ગાંધીની મુલાકાતની ‘ઈફેક્ટ’
- હવે પીડિતોને કેમ યાદ આવી તે ચર્ચાનો વિષય બન્યો
- અગ્નિકાંડમાં હજુ સરકારને રિપોર્ટ સોંપાયો નથી
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોએ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી ન્યાયની ગુહાર લગાવી હતી. રાહુલ ગાંધીએ પણ સંસદમાં આ મુદ્દો ઉઠાવવા ખાતરી આપી હતી. આ ઘટના બાદ ગુજરાત સરકારે પણ પીડિતોને સામે ચાલી ગાંધીનગરનું તેડુ મોકલ્યુ હતું. ટૂંકમાં, દોઢ-બે મહિના બાદ સંવેદનશીલ સરકારને રાજકોટ અગ્નિકાંડના પીડિતો પ્રત્યે અચાનક પ્રેમ ઉભરાયો હતો.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને પીડિત પરિવારોના આંસુ લૂછી સહાનુભૂતિ મેળવવા સરકારે રાજકીય ડ્રામાબાજી કરી હતી. રાજકોટ અગ્નિકાંડમાં જે રીતે તપાસનો દોર આગળ ધપી રહ્યો છે તે જોતાં ખુદ પીડિત પરિવારોએ ન્યાયની આશા ગુમાવી દીધી છે. એટલુ જ નહીં. આ સંવેદનશીલ મુદ્દામાં ય સરકાર જાણે સંવેદનહીન બની હોય તેવો આમ જનતાને આભાસ થઈ રહ્યો છે. આ જોતા કોંગ્રેસે આપેલાં બંધને વ્યાપક સફળતા મળી હતી.
અગ્નિકાંડની ઘટના બની ત્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રાતોરાત રાજકોટ દોડી ગયા હતાં. કોઈ ચમરબંધીને નહીં છોડાય તેવા તકિયા કલામ બોલીને તરત જ ગાંધીનગર પરત ફર્યા હતાં. તે વખતે પીડિત પરિવારોની કોઈ વાત સાંભળી ન હતી. આજે જયારે આ ઘટનાને દોઢ-બે મહિના વિત્યા. હવે સરકારને અચાનક જ પીડીતોને કેમ યાદ આવી તે ચર્ચાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છેકે, ઉત્તરપ્રદેશ હાથરસ દુર્ઘટનામાં સરકારે નિમેલી સીટે માત્ર એક જ સપ્તાહમાં ૩૦૦ પાનાનો રિપોર્ટ સુપરત કરી દીધો હતો. એટલું જ નહીં, આ રિપોર્ટ આધારે કસૂરવારો સામે કડક કાર્યવાહી કરાઈ છે. પણ કરુણતા એ છેકે, રાજકોટ અગ્નિકાંડમાં આજે દોઢ-બે મહિનાનો સમય વિતવા આવ્યો છે. હજુ તપાસ કમિટીના રિપોર્ટના ઠેકાણાં નથી.