પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ત્રણને દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ ત્રણેય દોષિતોને જામીન મળી ગયા છે. આ કેસમાં કોર્ટે 14 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
હાર્દિક પટેલને લઈને સિનિયર એડવોકેટ રાજેન્દ્ર શુક્લાએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. રાજેન્દ્ર શુક્લાએ પોતાના અભિપ્રાયમાં સૌથી મહત્વપૂર્ણ બાબત કહી હતી. તેમણે કહ્યું હતું કે, હાર્દિક પટેલ હવે લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. જન પ્રતિનિધિત્વના કાયદા અનુંસાર કોઈ ગુનેગાર ચૂંટણી લડી શકતો નથી. ટ્રાયલ ચાલી ગયા બાદ ગુનેગાર ચૂંટણી લડવા અસમર્થ સાબિત થાય છે.
રાજેન્દ્ર શુક્લાએ સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, નીચલી કોર્ટમાંથી જામીન મળે તો પણ ઉમેદવાર લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ન ભરી શકે. માટે પાટીદાર નેતા હાર્દિક પટેલની ચૂંટણી લડવા પર અસમર્થતા ઉભી થઈ છે.
જોકે આ મામલે એક વિકલ્પ પર વિષે જણાવતા તેમણે કહ્યું હતું કે, એક જ પરિસ્થિતિમાં હાર્દિક પટેલ ચૂંટણી લડી શકે. જો હાઈકોર્ટ ચૂકાદા પર સ્ટે આપે તો જ ચૂંટણી લડી શકે હાર્દિક. શુક્લાનું કહેવું છે કે, હાઈકોર્ટ આ આખા ચુકાદા પર જો સ્ટેજ આપે તો જ તે લોકસભાની ચૂંટણી લડી શકે. આખા ચુકાદા પર જ નહીં પણ આખા ઓર્ડર પર કાયમી સ્ટે આપે તો આમ થવું શક્ય છે. પરંતુ આવી શકયતા ખુબ જ ઓછી હોવાનું તેમણે જણાવ્યું હતું. પરંતુ જો હાઈકોર્ટ સ્ટે ન આપે તો હાર્દિક પટેલ 2019ની લોકસભાની ચૂંટણી નહીં લડી શકે.
શુક્લાએ જણાવ્યું હતું કે, કદાચ હાઈકોર્ટ આ આખા ચુકાદા પર કાયમી સ્ટે આપી પણ દે તો પણ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. આ મામલે ચુકાદો આવતા વર્ષો લાગી શકે છે. માટે હાર્દિક પટેલનું લોકસભાની ચૂંટણી લડવું લગભગ અશક્ય બાબત છે.
આમ હાર્દિક પટેલનું 2019ની લોકસભાની ચૂંટણી લડવાનું સપના પર ઘેરા વાદળો છવાઈ ગયા છે.