મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે નશાબંધી સપ્તાહ-૨૦૨૦નો ઑનલાઈન ઉદ્ઘાટન અને વ્યાખ્યાન સમારોહ યોજાયો
જો તમે ગુજરાતી હોવ તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.
નશાબંધી અને આબકારી વિભાગ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં જાણીતા મનોચિકિત્સકશ્રી દ્વારા નશાબંધી વિષય પર વ્યાખ્યાન
નશાબંધી અને આબકારી અધિક્ષકશ્રીની કચેરી દ્વારા શહેરના અનાવાડા રોડ પર આવેલા બી.આર.સી. ભવન ખાતેથી નશાબંધી સપ્તાહ-૨૦૨૦નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. જેમાં પાટણના જાણીતા મનોચિકિત્સકશ્રી ડૉ.કાન્તિભાઈ પટેલ દ્વારા નશાબંધી પર વ્યાખ્યાન આપવામાં આવ્યું.
પૂજ્ય ગાંધી બાપુને સ્મરણાંજલી આપતાં ડૉ.કાન્તિભાઈ પટેલે જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી નશાબંધીના ચુસ્ત હિમાયતી હતા. તેઓ માનતા કે ટેક્ષ નહીં મળે તો ચાલશે પણ દારૂબંધી હોવી જરૂરી છે. તેમના આદર્શોના પગલે ગુજરાત રાજ્યમાં આજે પણ દારૂબંધી અમલી છે.
નશાખોરી પર વાત કરતાં ડૉ.પટેલે જણાવ્યું કે, નશાખોરી અટકાવવા પ્રજાએ જાતે જ જાગૃત થવાની જરૂર છે. નશો શારીરીક, માનસિક અને સામાજીક એમ તમામ પરિપેક્ષમાં વ્યક્તિનો વિકાસ અટકાવે છે. આજે માધ્યમોની અસર તળે યુવાનો નશા તરફ આકર્ષાઈ રહ્યા છે ત્યારે માતા-પિતાએ શરૂઆતથી રાખેલી કાળજી આવતીકાલના જવાબદાર અને જાગૃત નાગરીક તરીકે નશામુક્ત રાખી શકશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, ગરીબ વર્ગમાં નશાનું વધુ પ્રમાણ છે તેની પાછળ ક્યાંકને ક્યાંક આપણો શિક્ષિત સમાજ જવાબદાર છે. સમાજના ઉચ્ચ વર્ગોએ સર્વાંગી વિકાસની વિભાવનાને સાર્થક કરવા નીચલા વર્ગના લોકોને જાગૃત કરી શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવાનું છે.
![](https://i0.wp.com/ptndigitalmedia.com/wp-content/uploads/2020/10/WhatsApp-Image-2020-10-02-at-6.24.12-PM.jpeg?resize=640%2C369&ssl=1)
આ ઉપરાંત મનોચિકિત્સકશ્રી ડૉ.કાન્તિભાઈ પટેલે નશાના વિવિધ સાધનો, તેનાથી થતા નુકશાન, નશામુક્તિ માટેના ઉપાયો સહિતના પાસાઓ પર માર્ગદર્શન આપી નશાબંધી માટે સંકલ્પબદ્ધ થવા અપીલ કરી હતી.
નશાબંધીને લગતા વિવિધ કાયદાકીય પાસાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી નશાબંધી અને આબકારી અધિક્ષક સુશ્રી એસ.કે.દવેએ સામાજીક પ્રગતિને અવરોધતા કારણોમાં મુખ્ય એવી નશાખોરીને ડામવા જાગૃત થવા અપીલ કરી હતી.
બી.આર.સી. ભવન ખાતેથી ઑનલાઈન પ્લેટફોર્મ પર યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાની શાળાઓના શિક્ષક-શિક્ષિકાઓ તથા નાગરીકો જોડાયા હતા. નશાબંધી સપ્તાહ-૨૦૨૦ અંતર્ગત આગામી તા.૦૮ સપ્ટેમ્બર સુધી જિલ્લાના વિવિધ સ્થળોએ શેરી નાટક, વ્યાખ્યાન, મહિલા શિબિર સહિતના કાર્યક્રમો યોજાશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News