પ્રાંત અધિકારીશ્રીને મળેલી માહિતી મુજબ ગામના લોકો સમયાંતરે એકઠા થતા
હોવાથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા પોલીસને કરવામાં આવી હતી જાણ
સામાજીક અંતર જાળવી કોરોના વાયરસના સંક્રમણને આગળ વધતું અટકાવવા સમગ્ર દેશમાં
લોકડાઉન આપવામાં આવ્યું છે ત્યારે શંખેશ્વર તાલુકાના પાડલા ગામે તેનો સુચારૂ અમલ ન થતો
હોવાની રાવના પગલે શંખેશ્વર તાલુકાના અશ્વ દળના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
સમી પ્રાંત અધિકારીશ્રી અમિતભાઈ પરમારને મળેલી લોકફરિયાદ મુજબ શંખેશ્વર તાલુકાના પાડલા ગામે ચોક્કસ સમયે ગામના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થાય છે. જેને ધ્યાને લઈ પ્રાંત અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા શંખેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પાડલા ખાતે અશ્વ દળના પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે. જેમના દ્વારા ગામમાં લોકડાઉનનું સુચારૂ અમલીકરણ થાય અને ગ્રામજનો દ્વારા કલમ-૧૪૪નો ભંગ ન થાય તે માટે સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લામાં લાગુ કલમ-૧૪૪ હેઠળના જાહેરનામાના કડક અમલીકરણ માટે વહિવટી તંત્ર પ્રતિબદ્ધ છે ત્યારે તેનો ભંગ કરનાર વ્યક્તિ સામે કડકપણે પગલા લેવામાં આવશે.