- ‘મહા’ વાવાઝોડાને કારણે રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મહા વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ પર વધુ દેખાઇ રહી છે. ત્યાંના મોટાભાગના જિલ્લા અને શહેરોમાં બે દિવસથી વાદળિયું વાતાવરણ રહ્યા બાદ વરસાદ તૂટી પડ્યો હતો.
- વલસાડ જિલ્લામાં સાંજે 6 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. શનિવારે સવાર સુધી ચાલુ રહેલા વરસાદ દરમિયાન 14 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ધરમપુરમાં શનિવારે સવારે 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં અડધાથી એક ઇંચ પાણી વરસી જતાં લોકોને ચોમાસું પાછું ફર્યું હોય તેવો અહેસાસ થયો હતો.

- ખેડૂતો ફરીથી ચિંતામાં મૂકાયા હતા અને કપાસ, મગફળી, બાજરીનો તૈયાર પાક બચાવવાની વેતરણમાં જોતરાઇ ગયા હતા. મહા વાવાઝોડાને પગલે ગીર-સોમનાથ જિલ્લામાં ઊના તાલુકાનાં રાજપરા બંદરે લાંગેરલી બોટ મોજાની થપાટે ડુબી ગઇ હતી. ભાવનગર શહેરમાં સવારથી બપોર સુધીમાં પોણો ઇંચ અને ઘોઘામાં અડધો ઇંચ કસોસમી વરસાદ વરસી ગયો હતો.
- જો આ ‘મહા’ વાવાઝોડું તેની બધી જ તાકાત સાથે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા પર ત્રાટકશે તો ‘મહા’ભયાનક નુકસાન અને તબાહી થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં વાવાઝોડુ ત્રાટકશે એટલે તેની સૌથી વધારે ખરાબ અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં થશે તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસશે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.
- આજે ‘મહા’ વાવાઝોડાએ પોતાની દિશા બદલી છે તે હવે દીવથી પોરબંદરનાં દરિયાકાંઠા વચ્ચે ત્રાટકશે. આ ‘મહા’ વાવાઝોડું પહેલા દીવથી દ્વારકા વચ્તે ત્રાટકવાનું હતું. છઠ્ઠી તારીખે મધરાતે આ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જેવા જિલ્લાઓમાં વરસાદ પડશે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.