દિલીપસિંહ રાજપૂત, Banaskantha : પાટણ જિલ્લાના ધાયણોજ ગામના નરાધમ પિતાએ પોતાની પત્ની સાથે મનમેળ ન આવતાં પોતાના ત્રણ વર્ષના પુત્રને કેનાલમાં ફેંકી દીધો હતો. ત્રણ દિવસ બાદ પુત્રની લાશ થરાદના રડકા ગામ પાસેથી મળી હતી. આ અંગે પત્નીએ હત્યારા પતિ સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
કાંકરેજ તાલુકાના (Banaskantha) નેકોઇ ગામના ભગવતીબેન ઉર્ફે ભગીબેન તળજાભાઇ રબારીના લગ્ન સામાજીક રીતરીવાજ મુજબ પાટણ જિલ્લાના ધાયણોજ ગામના શૈલેષ કરમશી રબારી સાથે થયા હતા. દરમિયાન શૈલેષ રબારી નેકોઇ ગામે ભગવતીબેન અને ત્રણ વર્ષના પુત્રને તેડવા માટે ગયો હતો.
જેમને બાઇક ઉપર લઇ ધાયણોજ આવવા નીકળ્યો હતો. જોકે, થરામાં આવ્યા પછી શૈલેષ રબારીએ પત્નીને તું શાકભાજી લઇલે હુું મોબાઇલ સરખો કરાવી આવું એમ કહી તેના ત્રણ વર્ષના માસુમ બાળક નિશુલ ઉર્ફે નિશુને બાઇકમાં બેસાડીને લઇને જતો રહ્યો હતો અને કેનાલમાં ફેંકી હત્યા કરી દીધી હતી. જેનો મૃતદેહ ત્રણ દિવસ પછી રવિવારે થરાદના રડકાની નર્મદાની મેઇન કેનાલમાંથી મળી આવ્યો હતો. જેના મૃતદેહને થરાદની હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો હતો.
આ અંગે ભગવતીબેને તેમના પુત્રના હત્યારા પતિ સામે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ સમક્ષ શરમ વિના જણાવ્યું હતું કે, મારી પત્નીથી છુટકારો મેળવવા મારી પત્ની અને મારે મનમેળ ના હોઇ છુટકારો મેળવવા દીકરા નિશુને થરાદથી આગળ નર્મદાની મુખ્ય કેનાલમાં ફેંકી દીધો હતો.