PM નરેન્દ્ર મોદી રવિવારે સાંજે 7:15 વાગ્યે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દરેકને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવનને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. શપથ ગ્રહણ સમારોહમાં વિશ્વનાં ટોચના નેતાઓ ભાગ લેશે, તો બીજી તરફ સ્વચ્છતા કાર્યકરો, ટ્રાન્સજેન્ડર અને સેન્ટ્રલ વિસ્ટા બનાવનારા મજૂરો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં કુલ 8000 મહેમાનો હાજરી આપી શકે છે. ભારતના પડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના નેતાઓને ખાસ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં દેશભરમાંથી 10 વંદે ભારત ટ્રેનના લોકો પાઇલટ્સને પણ વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. 

નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. આ અંગે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. શપથ ગ્રહણ પહેલા દિલ્હીમાં વિવિધ સ્થળોએ નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ મલ્લિકાર્જુન ખડગેને શપથ ગ્રહણ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે. જો કે, કોંગ્રેસ શપથ ગ્રહણમાં હાજરી આપશે કે નહીં તે અંગે ગઠબંધનના ભાગીદારો સાથે ચર્ચા કર્યા બાદ આજે નિર્ણય લેવામાં આવશે.

કોણ કોણ સામેલ થશે? 

ભારતના પડોશી દેશો અને હિંદ મહાસાગર ક્ષેત્રના નેતાઓ વડાપ્રધાન મોદી અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ અને ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે પણ તેમાં ભાગ લે તેવી શક્યતા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ નેતાઓને ભારતે તેની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિની પ્રાથમિકતા હેઠળ સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે.

કેવો છે શપથ ગ્રહણ કાર્યક્રમ?

દિલ્હી પોલીસના 3 હજાર જવાનો, 15 કંપની અર્ધલશ્કરી દળના જવાનો, NSG, SPG અને ઈન્ટેલિજન્સ વિંગના અધિકારીઓ પણ તૈનાત રહેશે. 5 વાગ્યે મહેમાનો આવવાનું શરૂ થશે. શપથગ્રહણ સાંજે 7.15 કલાકે શરૂ થશે. નવી દિલ્હીની સીમામાં આવતા તમામ રસ્તાઓ પર કડક સુરક્ષા રહેશે. નવી દિલ્હી વિસ્તારના તમામ મહત્વના રસ્તાઓ પર અર્ધલશ્કરી દળોની સાથે દિલ્હી પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે 8મી જૂને દિલ્હી પોલીસે VVIP રૂટ પર ડમી કાફલો કાઢ્યો હતો, જેમાં કેટલો સમય અને શું હશે આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. દિલ્હીની તે તમામ હોટલોમાં જ્યાં વિદેશી મહેમાનો રોકાયા છે. ત્યાં સુરક્ષા વ્યવસ્થાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

NDAના 18 સાંસદો પણ લેશે મંત્રી તરીકે શપથ!

મોદીની સાથે NDAના 14 સહયોગીઓના 18 સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જેમાંથી 7 કેબિનેટ મંત્રી તરીકે અને બાકીના 11 સ્વતંત્ર હવાલો અને રાજ્ય મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જો કે તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે 3 ડઝનથી વધુ સાંસદો મંત્રી તરીકે શપથ લઈ શકે છે. TDP અને JDUમાંથી 2-2 અને શિવસેનામાંથી એક કેબિનેટ મંત્રી બની શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ સિવાય એનસીપી, એલજેપી અને જેડીએસના ક્વોટાના કેબિનેટ મંત્રીઓ શપથ લઈ શકે છે.

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024