રામનગર એકતા સમિતિ અને પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલના અધ્યક્ષાસ્થાને કલેકટર કચેરીએ રામનગર ખાતે પ્રાથમિક સુવિધાઓના અભાવ અને સનદોના પડતર પ્રશ્નોને લઈ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
રામનગર ના ૩ પ્રશ્નોને લઈને આજરોજ રામનગર થી ધારાસભ્ય કીરીટ પટેલ ના અધ્યક્ષ સ્થાનેથી રામનગરના રહીશોની વિશાળ રેલી કાઢીને સૂત્રોચ્ચાર સાથે કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. રામનગરના રહીશો ૧૯૭૭માં સરસ્વતી નદીના પૂરગ્રસ્ત ગામો બાદીપુર, ભેમોસણ, ભદ્રાડા, ફુલેસણા, હનુમાનપુરા જેવા વિસ્તારો પૂરગ્રસ્ત બન્યા હતા ત્યારે ઈ.સ. ૧૯૭૮ થી ૭ ૯ની સાલમાં રામનગર ખાતે આશ્રિતોને સરકાર દ્વારા રામનગરમાં વસવાટ કરાવ્યો હતો.
રામનગરના સર્વે નંબર ર૬પ પેકીના રહેણાંક મકાનોમાં જે તે સમયે સદભાવ પરિવાર ટ્રસ્ટ દ્વારા આશ્રિતોને મકાન બનાવી આપ્યા હતા અને અમુક લોકોને પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી તો આજ સુધી માલિકીના હક ની સનદ આપવામાં આવી નથી જેથી કરીને આ આશ્રિતોને સનદ નહીં મળતાં સરકારી યોજનાનો કોઇ જ લાભ મળતો નથી.
તેમજ ગટર બનાવી છે પરંતુ તેમાં જોડાણ કરેલા નથી પાણી, શૌચાલય, સ્ટ્રીટલાઈટ, રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ રામનગરનો પાટણ નગરપાલિકામાં સમાવેશ થઈ ગયો હોવા છતાં અભાવ જોવા મળી રહયો છે. તો આવા ઘણા પ્રશ્નો લઈને ધારાસભ્ય ડો.કિરીટ પટેલના અધ્યક્ષસ્થાનેથી નાયબ કલેકટરને આવેદનપત્ર આપીને પોતાનો બળાપો ઠાલવી વહેલી તકે પ્રાથમિક સુવિધાઓ સહિત રામનગરના આશ્રિતોને સનદો મળે તેવી માંગ કરી હતી.