એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાની સાથે જ પાટણ જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટેની બૂમરાડો ઉઠવા પામી છે. ત્યારે સરકાર દ્વારા આયોજિત નલ સે જલ યોજના અંતર્ગત સરસ્વતી તાલુકાનું ભુતિયાવાસણા ગામ સો એ સો ટકા નલ સે જલ યોજના પરિપૂર્ણ કરી સમગ્ર જિલ્લામાં પૂરતા પ્રમાણમાં પાણી આપતું એક માત્ર ગામ બન્યું હોવાનું ભુતિયાવાસણા ગ્રામ પંચાયતના યુવા સરપંચ પ્રવીણભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
સરસ્વતી તાલુકાના ભૂતીયાવાસણા ગામે નલ સે જલ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણભાઈ ચૌધરી સહિતના સદસ્યો દ્વારા ઘરે ઘરે પાઈપલાઈન પહોંચાડી નળ કનેકશનો આપવાની સાથે સાથે ગામની આંગણવાડી, શાળા અને હવાડા જેવાં જાહેર સ્થળો ઉપર પણ નળ કનેકશન આપી સમગ્ર ગામમાં નિયમિત અને પુરતા પ્રમાણમાં પાણી આપી પાટણ જિલ્લાનું સૌ પ્રથમ નલ સે જલ યોજના પરિપૂર્ણ કરતું ગામ બન્યું હોવાનું ગૌરવ ભુતીયાવાસણા ગામે પ્રાપ્ત કર્યું હોવાનું ગામના સરપંચ પ્રવિણભાઇ જેસંગભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.