રાજય સરકાર દ્વારા એકબાજુ ડેન્ગ્યુથી થતાં રોગોથી સાવચેત રહેવા લાખો રુપિયાની જાહેરાતો આપવામાં આવી રહી છે ત્યારે બીજીબાજુ આરોગ્ય તંત્ર અને પાલિકાની નિષ્કાળજી અને અણઆવડતને લઈ પાટણ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરાતાં સ્થાનિક લોકો ડેન્ગ્યુ સહિત મચ્છરજન્ય રોગોને લઈ ભયભીત થતાં જોવા મળી રહયા છે
ત્યારે પાટણ શહેરના આદર્શ રોડ પર આવેલા ઈન્દ્રપુરી અને રત્નપુરી ફલેટ પાસે છેલ્લા પાંચ વર્ષથી સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ રહેતાં મચ્છરજન્ય રોગોથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
ત્યારે આ અંગે અનેકવાર પાલિકામાં ફરિયાદો કરવા છતાં પણ આજદીન સુધી આ સમસ્યાનો યોગ્ય નિકાલ ન આવતાં હાલ ચાલી રહેલા ડેન્ગ્યુજન્ય બિમારીથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહયા છે.
ત્યારે પાલિકા તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈ સત્વરે ભરાઈ રહેતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરી દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરી હતી.