પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નિકળ્યો છે તેમ છતાં પાટણ નગર પાલિકાના સત્તાધીશો સહિત નગરસેવકો અને વોર્ડ ઈન્સ્પેકટરો મૌન સેવી રહયા છે. ત્યારે પાલિકાના સત્તાધીશોના મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરો સહિત દબાણકર્તાઓ બેફામ બની બિનઅધિકૃત બાંધકામ કરી પાટણ શહેરને બાનમાં લીધું છે.
ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા ૯મી જુલાઈના રોજ શહેરના સુભાષચોક વિસ્તારમાં જૂનું મકાન પાડીને રહેણાંક મકાનની પરમીશન લીધા બાદ નવીન મકાન બનાવતાં પાલિકા દ્વારા કોમર્શીયલ બાંધકામ થઈ રહયું હોવાની આશંકા રાખી આ બાંધકામ તોડી પાડી મકાન માલિકને છ થી સાત લાખ જેટલી માતબર રકમનું નુકશાન કયું હતું જેને લઈ આજરોજ પાટણ શહેર અને તાલુકાના આગેવાનો દ્વારા નાયબ કલેકટરને પાલિકાના ચીફ ઓફિસરની બેવડી નીતિ સામે પ્રશ્નો ઉદભવી આવેદનપત્ર આપ્યું હતું.
આ આવેદનપત્રમાં લેખિતમાં જણાવ્યું હતું કે દુકાન તોડી પાડતા અગાઉ કાયદા અન્વયે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી અને મિલ્કતોના માલિકોને કયારેય સાંભળવામાં આવ્યા નથી અને મિલ્કતના બાંધકામ બાબાતે કોઈ ખુલાસો માંગવામાં આવેલ નથી. અને વધુમાં આવેદનપત્રમાં પાટણ શહેરની બાંધકામ નીચેની રજાચિઠીની મિલ્કતોમાંથી જે લોકોએ પાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ માંગ્યા મુજબનો નાણાંકીય વ્યવહાર ન કર્યા હોય તેવા લોકોની મિલ્કતો તોડી પાડવાનું આ અપકૃત્ય કયું હોવાના પણ ગંભીર આક્ષોપો કર્યા હતા અને પાલિકાના ચીફ ઓફિસરે પોતાના હોદાનો દુરુપયોગ કરી મનસ્વીરીતે કરેલા અપકૃત્યની લીગલ તપાસ કરવા અને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ તપાસ કરવા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી.
આમ, રહેણાંકની પરમીશન લીધા બાદ કોમર્શીયલના બાંધકામની આશંકા રાખી ચાલુ બાંધકામે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે ત્યારે આવા જ પ્રકારનું બાંધકામ જલારામ ચોક પાસે અને જૂના રેડક્રોસ ભવનની સામે પણ રહેણાંક મકાનની પરમીશન લીધા બાદ ત્યાં તોતીંગ કોમર્શીયલ બિલ્ડીંગ ઉભી કરી દેવા છતાં પણ પાલિકાના ચીફ ઓફિસર મૌન સેવતા તેઓની સામે સીધી આંગણી ચિંધાઈ રહી છે.
આમ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ગરીબોની મિલ્કતોને તોડી પાડી માલેતુજારોની મિલ્કતો સામે કોઈજ કાર્યવાહી ન કરાતા પાલિકાના ચીફ ઓફિસરની બેવડી નીતિ સામે લોકોમાં ગંભીર આક્ષોપો થઈ રહયા છે.
તો શું પાલિકાના ચીફ ઓફિસર જલારામ ચોક અને જૂના રેડક્રોસ ભવનની સામે રહેણાંક પરમીશન લઈ કોમર્શીયલ બાંધકામ સામે યોગ્ય કાર્યવાહી કરી પગલા ભરશે ખરા?