પાટણ શહેરમાં ઠેર-ઠેર જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કારાવાસમાં જન્મેલા કૃષ્ણને વાસુદેવ છાબડામાં લઇ મૂશળધાર વરસાદ વચ્ચે યમુના નદી પાર કરી ગોકુળમાં નંદબાબાના ઘરે સહીસલામત પહોંચાડ્યા હતાં ત્યારથી શ્રાવણ વદ નોમ અને પારણાં એટલે કે નંદોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. જેને લઈને મંગળવારે પાટણ શહેરના વૈષ્ણવ મંદિરો અને કૃષ્ણ મંદિરોમાં નંદોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
મંદિરોમાં ભગવાનને પારણામાં ઝૂલાવી છપ્પનભોગ ધરાવવામાં આવ્યાં હતાં ત્યારે ભક્તોએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના નાદ સાથે વાતાવરણ ગુંજવી મૂકયું હતું. વિવિધ ઘરોમાં પણ લોકોએ પરિવાર સાથે નંદ ઉત્સવની ઉજવણી કરી હતી.
ભક્તોએ ભગવાનના બાળ સ્વરૂપને લાડ લડાવવાનો ભાવ પ્રગટ કર્યો હતોલીમ્બચ માતાના મંદિરમાં મહિલાઓએ રાધાકૃષ્ણ ગોપીના વેશમાં ગરબાની ઝમઝટ મચાવી શહેરના સાલવિવાડા વિસ્તારમાં આવેલ લીંબચ માતાના મંદિર ખાતે નંદોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં શ્રદ્ઘાળુ ભક્તોએ ભગવાનના બાળ સ્વરૂપને લાડ લડાવવાનો ભાવ પ્રગટ કર્યો હતો અને રાધાકૃષ્ણના અને ગોપીઓના વેશમાં સજ્જ થઈ ગરબે રમતાં સમગ્ર વાતાવરણ નંદોત્સવના રંગે રંગાઇ ગયું હતું. આમ પાટણમાં જન્માષ્ટમી બાદ નંદોત્સવની પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી.
ત્યારબાદ નંદોત્સવના કાર્યક્રમ બાદ શ્રીકૃષ્ણની ઠેરઠેર પધરામણી કરવામાં આવી હતી. ત્યારે ચાલુસાલે વરસાદ નહીંવત રહેતાં કેટલાક શ્રધ્ધાળુઓએ જાળેશ્વર પાલડીના વ્હોળામાં શ્રીકૃષ્ણની મૂર્તિની પધરામણી આસ્થા અને ભકિત સાથે કરી હતી.