હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના પ્રોફેસર ડો.આદેશપાલ દ્વારા ગુજરાત યુનિવર્સીટીમાં ભૂતપૂર્વ કુલપતિના સમય ગાળા દરમ્યાન નિયમ વિરુદ્ઘ નાણાકીય વ્યવહારો કરી એક કરોડથી વધુ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપ લાગતા શિક્ષણ વિભાગે લોકાયુક્ત માં તપાસ આપતા લોકાયુક્ત દ્વારા તપાસના અંતે તેમને દોષિત ઠેરવ્યા હોય આ બાબતે કાર્યવાહી કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીને આદેશ કરવામાં આવતા આદેશ અનુસંધાને શનિવારે ઓનલાઇન ઇસી બેઠકમાં પ્રોફેસરને ફરજીયાત કાયમી નિવૃત્તિ માટે આદેશ કરવાનો ઠરાવ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતા યુનિવર્સીટીમાં ખળભળાટ મચ્યો હતો.
યુનિવર્સીટીમાં ફરજ બજાવતા પ્રોફેસર ડો.આદેશપાલે ર૦૧૧ માં ગુજરાત યુનિવર્સીટી કેમ્પસમાં લાઈબ્રેરી સહિતના વિવિધ કામોમાં ચુકવણું નિયમ મુજબ ના કરી ૧.૭૦ કરોડના નાણાકીય ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠયા હતા.આ બાબતે શિક્ષણ વિભાગે જ લોકાયુક્ત માં ફરિયાદ કરતા તપાસના અંતે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
લોકાયુક્તના એહવાલ અનુસંધાને રાજ્ય શિક્ષણ વિભાગના નાયબ સચિવ મૌલિક શાહ દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીને ૧૪ ઓક્ટોમ્બરના રોજ પત્ર લખી લોકાયુક્તના અહેવાલ અનુસાર ડો.આદેશપાલ હાલ યુનિવર્સીટીમાં ફરજ બજાવતા હોય કુલપતિ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.જે અનુસંધાને શનિવારે કુલપતિ જે જે વોરાની અધ્યક્ષતામાં ઓનલાઇન કારોબારી બેઠક યોજાઇ હતી જેમાં સરકારની સૂચના મુજબ શિક્ષાત્મક પગલાં લેવાના ભાગ રૂપે તમામ સભ્યોના સર્વાનુંમતે પ્રોફેસર આદેશપાલને કાયમી ધોરણે આગામી તા.૧,૧૧,ર૦ર૧ થી જ ફરજમાંથી ફરજિયાત નિવૃત્તિ લઈ લેવા માટે હુકમ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો.
યુનિવર્સીટી ઇસી બેઠકમાં લેવાયેલ આ નિર્ણય અંગે શિક્ષણ વિભાગમાં જાણ કરાશે.આ બેઠકમાં ઇસી સભ્ય શૈલેષ પટેલ , સ્નેહલ પટેલ,દિલીપ ચૌધરી, ઓફ લાઈન જ્યારે હરેશભાઈ ચૌધરી સહિતના ઈસી સભ્યો ઓનલાઇન હાજર રહ્યા હતા.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી નાં સિનિયર્સ ઈસી સભ્યો દ્વારા આદેશપાલ મામલે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો આ બાબતે સિનિયર ઇસી સભ્ય શૈલેષ પટેલે જણાવ્યું હતું કે સરકારની સુચના મુજબ લોકાયુક્ત માં ભ્રષ્ટાચાર મામલે આદેશપાલ દોષી સાબિત થયા હોય તેમને હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી માંથી ફરજીયાત નિવૃત્તિ આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો હોય નિવૃત્તિ બાદ મળતા તેમના લાભો બાબતે સરકારની નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતુ.