પાટણમાં ૧૩૧ વર્ષથી કાર્યરત એવી ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં નગરજનોને વાંચનનો લાભ અને જાણકારી મળે તે હેતુસર સ્વ.કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે સાંજે મને જાણો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
રવિવારે સાંજે પાંચ કલાકે લાયબ્રેરીના આસ્થા હોલમાં વી.બી. ચૌહાણ દ્વારા લખાયેલ પુસ્તક નવી ભોજન પ્રથા ઉપર વકતા કનૈયાલાલ પરમાર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેઓએ આ પધ્ધતિમાં ખાસ કરીને પેટના આંતરડાને સાફ રાખવા ઉપર વિશેષ પ્રકાશ પાડયો હતો.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન તથા લાયબ્રેરીમાં ચાલતાં કાર્યક્રમોની માહિતી પ્રમુખ ડો.શૈલેષ બી. સોમપુરા દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંયોજક નગીનભાઈ ડોડિયા, ખજાનચી રાજેશભાઈ પરીખ, વિષ્ણુભાઈ પંચાલ, પ્રકાશભાઈ રાવલ, ડો.પિયુષભાઈ વ્યાસ, બાબુભાઈ ઠકકર તથા અન્ય શ્રોતાઓ તથા બહેનો હાજર રહયા હતા. આભારવિધી સુરેશભાઈ દેશમુખે કરી હતી. આગામી કાર્યક્રમ ૧લી ઓગસ્ટના રવિારે પાટણની પ્રભુતા પુસ્તક ઉપર સમીક્ષાા કરવામાં આવવાનું લાયબ્રેરીના પ્રમુખ શૈલેષ સોમપુરાએ જણાવ્યું હતું.