અગાઉ માત્ર ૧૦-૧૨ લોકોએ રસી લેવા રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તંત્રની અપીલ અને આગેવાનો દ્વારા જનજાગૃતિ બાદ રસીકરણને બહોળો પ્રતિસાદ
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કન્ટેઈનમેન્ટ, પ્રાથમિક સારવાર અને રસીકરણ સહિતની બાબતોમાં નાગરિકોનો સહકાર આવશ્યક છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કોરોના નિયંત્રણ માટેની કામગીરીમાં નાની ચંદુર ગામના લોકોએ તંત્રના અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની અપીલને પગલે રસીકરણ કાર્યક્રમને સફળ બનાવ્યો.
જિલ્લામાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ૪૫ વર્ષથી વધુ ઉમર ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવી રહી છે ત્યારે સમી તાલુકાના નાની ચંદુર ગામના નાગરિકો રસી અંગે ખોટી માનસિકતા અને અફવાઓને પગલે રસી લેવા ઈચ્છુક ન હતા. અગાઉ ગ્રામ્ય કક્ષાના આરોગ્યકર્મીઓ દ્વારા ગત તા.૧૨ તથા ૧૩ મેના રોજ રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરતાં માત્ર ૧૦-૧૨ લોકોએ રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
આ અંગે વાત કરતાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.નરેશભાઈ પટેલે જણાવ્યું કે, ગ્રામ્ય કક્ષાએ મહત્તમ રસીકરણ થાય તે માટે સમી પ્રાંત અધિકારી અમિત પરમારના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાર દ્વારા તાલુકા ડેલિગેટ, સરપંચ અને ગામના આગેવાનો સાથે બેઠક યોજી રસીકરણ કાર્યક્રમમાં તેમના સહયોગ માટે અપીલ કરી હતી.

આ બેઠક બાદ વહિવટી તંત્રને સહકાર આપતાં જનપ્રતિનિધિઓ અને આગેવાનોએ નાની ચંદુરના ગ્રામજનોને રસીકરણના ફાયદા સમજાવ્યા હતા. સાથે જ પોતાના અને પરિવારના સ્વાસ્થ્યની સુરક્ષા માટે રસીકરણ માટે અનુરોધ કર્યો હતો. જેના પગલે ૭૦ જેટલા ગ્રામજનોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.