બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટે
૧૮ થી ૪૦ વર્ષની ઉંમરે રૂ. ૫૫ થી ૨૦૦ સુધીનો માસીક ફાળો
૬૦ વર્ષ બાદ દર માસે રૂ. ૩૦૦૦ પેન્શન મળશે
પાત્રતા ધરાવતા ખેડૂતો માટે પેન્શન મેળવવા માટે અરજી કરવા પાટણ જીલ્લામાં
વહીવટીતંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી
પ્રધાનમંત્રી કિસાન માન-ધન યોજન(PMKMY) દેશના નાના અને સીમાંત ખેડૂતોને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા અમલમાં મુકવામાં આવી છે. પાટણ જિલ્લામાં બે હેક્ટરથી ઓછી ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન માન-ધન યોજના હેઠળ આવરી લેવા માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ યોજનામાં ૧૮ થી ૪૦ વર્ષની વય ધરાવતા ખેડૂતો રૂ. ૫૫ થી ૨૦૦ સુધીના માસીક ફાળાથી યોજનામાં જોડાઇ શકશે, આ ફાળો ખેડૂતે ૬૦ વર્ષ સુધી જમા કરવાનો રહેશે. ખેડૂતોના ફાળા જેટલું સરકારનું યોગદાન રહેશે. ૬૦ વર્ષ બાદ ખેડુતોને દર માસે રૂ. ૩૦૦૦ પેન્શન મળશે. આ સ્વૈચ્છિક અને યોગદાન આધારીત પેન્શન યોજના છે. પાત્રતા ધરાવતા ખેડૂતો આ યોજનામાં જોડાવા ઇચ્છુક હોય તો તેવા ખેડૂતોએ તેમના આધાર નંબર અને બેન્ક પાસબુક અથવા બેન્ક ખાતાની વિગતો સાથે નજીકના સામાન્ય સેવા કેન્દ્ર (CSC) નો અથવા ગ્રામ સેવકનો સંપર્ક કરી શકાશે. જે ખેડૂત કિસાન યોજનાનો લાભાર્થી હોય તો તેમને પી.એમ. કિસાનની સહાય મળેલ ખાતામાંથી તેનું સીધું યોગદાન જમા કરાવવાની સંમતિ આપી શકે છે.
પાટણ જિલ્લાના તમામ તાલુકાના સામાન્ય સેવા કેન્દ્રો તથા તાલુકા પંચાયત ખાતે ખેડૂતો આ યોજનામાં જોડાવા માટે નોંધણી કરાવી શકશે.
આ યોજના હેઠળ નિવૃત્તિની તારીખ પહેલાં ખેડૂતનું આકસ્મિક મૃત્યુ થાય તો પતિ/પત્નિ મરણ પામનાર ખેડૂત બાકી વય સુધી બાકીનો ફાળો આપીને પેન્શન યોજના ચાલુ રાખી શકે છે. નિવૃત્તિ તારીખ પહેલાં મૃત્યુના કિસ્સામાં જો જીવનસાથી ન હોય તો વ્યાજ સાથેનો ફાળો વારસદારને મળશે. જો નિવૃત્તિની તારીખ પછી ખેડૂતનું મૃત્યુ થાય તો પતિ/પત્નિને ૫૦ ટકાપેન્શન એટલે કે દર મહિને રૂ. ૧૫૦૦/- કુટુંબ પેન્શન તરીકે મળશે.