વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે પાનનો ગલ્લો ચલાવતા યુવાન પર મકરપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શક્તિસિંહ ચુડાસમાએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા પી.એસ.આઇ. સામે કાર્યવાહી કરવાને બદલે બચાવ કરી રહી છે. પોલીસ કમિશરને કહ્યું કે, પી.એસ.આઇ.એ પોતાના સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું છે. તેમ છતાં આ બનાવની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

શું હતો સમગ્ર મામલો?

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલાં રવિપાર્ક ચાર રસ્તા પાસે સોમવારે રાત્રે મકરપુરાના પ્રોબેશનલ PSIએ પાનના ગલ્લાવાળા સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ તેમનાં પુત્ર પર સર્વિસ રિવોલ્વરમાંથી ઉપરા છાપરી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતાં ચકચાર મચી હતી. ફાયરીંગમાં એક ગોળી યુવકને પેટમાં તથા બે પગમાં વાગતાં ગંભીર હાલતમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં ટોળાં ઉમટી પડતાં આરોપી પીએસઆઈ બુલેટ છોડી ભાગી ગયો હતો. લોકોએ પીએસઆઈ દારૂના નશામાં હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

ઇજાગ્રસ્ત ભાનમાં આવ્યો ન હોવાથી ફરિયાદ લેવાઇ નથી
વડોદરા શહેરના તરસાલીમાં બનેલી ઘટના અંગે પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, મકરપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શક્તિસિંહ ચુડાસમાં પ્રોબેશન પર છે. તેઓ રાત્રે પસાર થતાં હતા. ત્યારે પાનના ગલ્લા ઉપર દારૂની મહેફીલ ચાલતી હોવાની શંકા જતાં તેઓ ગલ્લા ઉપર પહોંચ્યા હતા. જ્યાં તેઓને ચાર-પાંચ યુવાનો સાથે ઝપાઝપી થઇ હતી. જેમાં તેઓ નીચે પડી ગયા હતા. પી.એસ.આઇ.ને લાગ્યુ કે, તેઓ સાથે ઝપાઝપી કરી રહેલા યુવાનો રિવોલ્વર ખેંચી લેશે અને મારા પર હુમલો કરશે. આથી તેઓએ પોતાના સ્વ બચાવમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં સિમીત પ્રજાપતિને પગમાં અને પેટમાં ઇજા પહોંચી હતી. હજુ ઇજાગ્રસ્ત ભાનમાં આવ્યો ન હોવાથી તેઓની ફરિયાદ લેવામાં આવી નથી.

પી.એસ.આઇએ હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી
પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, મોડી રાત્રે બનેલી ઘટનામાં પી.એસ.આઇ.ને ઇજા પહોંચતા તેઓ સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. પી.એસ.આઇ. શક્તિસિંહ ચુડાસમાએ તેઓ ઉપર હુમલો કરનાર 5 વ્યક્તિઓ સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ પોતાના સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલવરમાંથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું જણાવ્યું છે. તેઓએ ચાર-પાંચ યુવાનો દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઇજા થઇ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

તટસ્થ તપાસ કરવામાં આવશે
તેમણે ઉમેર્યું હતું કે, સમગ્ર ઘટનાની એફ.એસ.એલ. દ્વારા તેમજ અલગ-અલગ એંગલથી ક્રાઇમ બ્રાંચ અને એસ.ઓ.જી. દ્વારા તપાસ શરૂ કરાવવામાં આવી છે. માત્ર પી.એસ.આઇ.ની ફરિયાદના આધારે તપાસ થશે અને તટસ્થ તપાસ કરવામાં આવશે. અને જે સત્ય હકિકત બહાર આવશે. તે હકીકતના આધારે કાર્યાવાહી કરવામાં આવશે. હજુ આ બનાવમાં કોઇની ધરપકડ કરવામાં આવી નથી.

પોલીસ તંત્રએ કડક કાર્યવાહી કરવાને બદલે બચાવમાં ઉતરી
નોંધનીય બાબત એ છે કે, સામાન્ય બાબતમાં ફાયરિંગ કરનાર પ્રોબેશનલ પી.એસ.આઇ. શક્તિસિંહ ચુડાસમા વિરૂદ્ધ વડોદરા શહેર પોલીસ તંત્રએ કડક કાર્યવાહી કરવાને બદલે તેના બચાવમાં ઉતરી છે. અને પી.એસ.આઇ. પણ પોતે નિર્દોષ હોવાના પુરાવા ઉભા કરવા માટે આજે સવારે સયાજી હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા. ત્યારે પોલીસ તંત્રની આબરુના ધજાગરા ઉડાડનાર પી.એસ.આઇ. સામે કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે પછી આ પ્રકરણ ઉપર પડદો પાડી દેવામાં આવશે. તેવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. જોકે, ફાયરિંગમાં ઇજા પામનાર પરિવારજનો દ્વારા પી.એસ.આઇ.ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024