પાટણ જિલ્લાના હારીજમાં પ્રેમ કરવાની જાણે કે યુવતી ભૂલ કરી બેઠી હોય તેમ તાલિબાની સજા યુવતીને આપવામાં આવી હોવાનો વીડિયો ફરતો થયો હતો. વીડિયોમાં જે હદે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તે જોઇને એક સમયે આપણું હ્રદય પણ કંપી ઉઠે. પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું, માથે મુંડન કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મૂકી વાદી વસાહતમાં ફેરવવામાં આવી હતી. આ મામલે પોલીસ હરકતમાં આવી છે. સગીરાને આકરી સજા આપનારા ૩૭થી વધુ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ઘટનાને લઈ સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીરાએ ગામલોકો વિરૂદ્ઘ તેમજ યુવતી સગીર વયની હોવાથી તેને ભગાડી જનારા યુવક વિરૂદ્ઘ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગ્રામલોકો દ્વારા સગીરાના બાળ લગ્ન કરાવવામાં આવતા તેની પણ ફરિયાદ નોંધાઈ છે જ્યારે યુવતી સગીર હોવા છતા તેને ભગાડી જનારા યુવકે તેની સાથે શરીર સબંધ બાંધતા તેની સામે પણ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. તે યુવતી સગીરવયની છે અને તેને નજીકમાં રહેતો વિપૂલ બળવંત ફુવલાદી પ્રેમ સબંધમાં ભગાડી ગયો હતો. જેથી મન દુ:ખ રાખી ગામલોકોએ સામાજીક રીતે સજા આપવાનું નક્કી કર્યું હતું. સજા અપવવામાં સગીરાના પિતા પણ સામેલ હતા તેમજ તમામ આગેવાનોએ મંડળી રચી સગીરાને તેમજ વિપૂલ ફુલવાદીને ગામમાં ચોકમાં ભેગા કાર્ય હતા. સગીરાના બનેવી તળશી ફુલવાદીએ સગીરાને બળજબરી પૂર્વક નીચે જમીન ઉપર બેસાડી હતી અને સગીરાના બનેવી ઉપરાંત બાબુ ફુલવાડી, ત્રિભોવન ફુલવાડી, રમેશ ફુલવાડી હલામણ ફુલવાદીએ કાતરથી સગીરાના માથાના વાળ કાપી નાખ્યાં હતા. તેમજ અરવિંદ ફુલવાદી અને ભલા ફુલવાડીએ સગીરાને કોથળો પહેરાવ્યો હતો. આ ઉપરાંત બાબુ લાલજી ફુલવાદીએ સગીરાનું કાળું મોઢું કર્યું હતું. તેમજ બાકીના લોકોએ ચીચારીયાઓએ કરી ઉશ્કેરણી કરી સગીરા અને વિપૂલનું ગામમાં સરઘસ કાઢ્યું હતું. આરોપીઓએ યુવતી સગીરવયની હોવા છતા આત્મારામ ફુલવાદી સાથે બાળ લગ્ન કરાવી ગુનો કર્યો હતો.
સગીરાએ વિપુલ વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમે દિવાળીના બે દિવસ અગાઉ રાત્રે ઘરેથી ભાગી ગયા હતા અને અમે ડાકોર ખાતે ગયા હતા. જ્યાં ધર્મશાળામાં અમે રોકાયા હતા. જ્યા વિપુલે મારી સાથે શરીર સબંધ બાધ્યો હતો. જ્યારબાદ ગામના લોકોએ અમને પકડી પાડ્યા હતા અને ગામમાં વિપુલના વાળ કાપી અને તેનું પણ મોઢુ કાળુ કર્યુ હતું.
હારીજના વાદી વસાહત ખાતે થયેલા તાલીબાની કૃત્ય અંગે પોલીસ હરકતમાં આવી તમામ સામે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું. તો ઘટના સંદર્ભે કલેકટરે પણ પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.