સાંતલપુરના છાણસરા ગામ નજીક રસ્તામાં ટ્રેક્ટરની ટ્રોલી પલટી મારી જતા વીજ થાંભલા નીચે દબાઇ જતા સાંતલપુર તાલુકાના બે યુવાનોના મોત નિપજ્યાં હતા. સાંતલપુર તાલુકાના સાદપુરા ગામનાં કિશનકુમાર રતિલાલ ઠાકોર તેમજ પ્રહલાદભાઈ સોમાભાઈ ઠાકોર વીજ થાંભલા ઉતારવા અને ઉભા કરવા માટે કામગીરી કરતા હતા.
છાણસરા ખાતે આવેલ રેલવે સ્ટેશન પાસે નવીન વીજલાઈન ઉભી કરવાની હોઈ ૬ જુલાઇના સવારે ૮.૩૦ કલાકે વારાહી યુજીવીસીએલ કચેરીથી ટ્રેક્ટરની ટ્રોલીમાં ૬ વીજ થાંભલા ભરી છાણસરા ખાતે જવા રવાના થયું હતું.ત્યારે ટ્રેક્ટર પરસુંદ ગામને પસાર કરતાં રસ્તામાં અચાનક કૂતરાં આવતાં તેને બચાવવા જતા ટ્રેક્ટર ચાલકે કાબુ ગુમાવતા વીજ થાંભલા ભરેલી ટ્રોલી સાથે ટ્રેક્ટર રોડ વચ્ચે પલટી મારી ગયું હતું.
ટ્રોલીમાં ભરેલા વીજ થાંભલા નીચે કિશનકુમાર ઠાકોર અને પ્રહલાદભાઈ ઠાકોર દબાઈ જતા બંને યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. અકસ્માતની જાણ થતાં યુજીવીસીએલ કચેરીના અધિકારીઓ અને મૃતક યુવકોના સગાવ્હાલા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ કાર્યવાહી બાદ મૃતક યુવકોની લાશને પોસ્ટમોર્ટમ માટે વારાહી સીએચસી ખાતે લાવવામાં આવી હતી.