થરાદ પંથકમાં ભારત માલા પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે. જેમાં ખેડૂતોની જમીન કપાતમાં ઓછું વળતર ચૂકવાયું છે તેમજ ખનીજ કૌભાંડ જેવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા શુક્રવારે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
થરાદ તાલુકા વિસ્તારમાં સિક્સ લાઇન ભારત માલા પ્રોજેકટ કામ ચાલી રહ્યું છે. જેમાં ખેડૂતોની જમીન કપાત તેમજ રોડ લાઇન પર બંને બાજુ ઠાલવાતી માટી બાબતે ખનીજ કૌભાંડ થતું હોવાના આક્ષેપો સાથે યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રધાનજી ઠાકોરની આગેવાનીમાં શુક્રવારે ભારત માલા પ્રોજેકટ વિરુદ્ઘ પ્રાંત અધિકારીને આવેદન આપી ખેડૂતોને ન્યાય અપાવવા માંગ કરાઇ હતી.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ખેડૂતોની કપાયેલી જમીનો માત્ર જંત્રીના ભાવે ખરીદી છે. જેથી ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જેથી રિ-સર્વે કરાવી પુરતું વળતર ચુકવવામાં આવે તેમજ રોડમાં માટી કામ ચાલી રહ્યું છે તેમાં ખનન કરી ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે.
જેથી સરકારને નજીવી રકમ ભરી ખનીજનું કૌભાંડ ચાલી રહ્યું છે તેમજ સ્થાનિક કોન્ટ્રાક્ટરોને કામ નહીં સોંપવામાં આવતાં અન્ય રાજ્યોના કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરી કરવામાં આવતાં યુથ કોંગ્રેસ પ્રમુખે પોતાનો રોષ વ્યકત કર્યો હતો.